વાપી નજીક દમણગંગા નદી પસાર કર્યા બાદ મુંબઈ તરફ આવતા નાહુલી-વલવાડા ગામના પશ્ચિમ ભાગને હાઇવે સાથે જોડવા પશ્ચિમ રેલવે લાઇન પર RUB નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ RUB માં તંત્ર દ્વારા લાઇટની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી. ઉલટાનું અહીં RUB ના પૂર્વ છેડે શેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે RUB માં દિવસે પણ અંધારું રહેતું હોય વાહનચાલકો માટે આ અકસ્માત ઝોન બની રહ્યો છે.
સામાન્ય રીતે અજવાળામાંથી અંધારામાં જતી વખતે માણસની આંખોમાં થોડી વાર માટે અંધારપટ જેવી ઝાંખપ છવાઈ જાય છે. આ કારણે વાહનોની લાઈટ ચાલુ હોવા છતાં પણ રેલવે અન્ડરપાસ માં કશું જ દેખાતું નથી. જે વાહનચાલકોમાં બેઘડી ગભરાટ ઉત્પન્ન કરાવે છે. નાહુલીના આ RUB માં લાઇટની પણ સુવિધા નથી. જેથી દિવસની જેમ રાત્રે પણ વાહનચાલકોને લૂંટાવાનો અને અકસ્માતનો ભય સતાવે છે.
વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન આસપાસના વાહનચાલકો માટે અવરોધ ઉભો કરે નહિ એવા ઉદેશ્ય સાથે રેલવે અન્ડરપાસ, ROB, ઓવરબ્રિજ બનાવવામાં આવ્યાં છે. પરંતુ ઘણીવાર તંત્ર દ્વારા તેમાં એવી સામાન્ય બાબતને કોરાણે મૂકી દેવામાં આવે છે કે, જેના કારણે આવા ROB, RUB કે રોડ ઓવરબ્રિજ મોટી જાનહાની અને સમસ્યાઓનું કારણ બનતી હોય છે.