પાલઘર જિલ્લાના ચારોટી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH48 પર થયેલા ભયાનક અકસ્માત બાદ, જેમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ટ્રીએ જીવ ગુમાવ્યો હતો, હવે આ સ્થળે સલામતી માટે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. એક્ટિવિસ્ટોના દબાણ બાદ ₹600 કરોડના ખર્ચે રોડનું ટોપ-અપ કામ થયું, પરંતુ શું આ પગલાં પૂરતાં છે? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
આ ઘટના બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સલામતી પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જો આવા પગલાં પહેલાં લેવાયા હોત, તો કદાચ આવી દુર્ઘટનાઓ ટળી શકી હોત. પરંતુ, આ ઘટનામાંથી વલસાડ જિલ્લામાં બની રહેલા અને બનેલા સર્પાકાર રેલવે ઓવરબ્રિજ તેમજ હાલમાં જ નેશનલ હાઇવે 48 પર બલિઠા, પારડીમાં બનેલા હાઇવે ક્રોસિંગના ફૂટ ઓવર બ્રિજ માટે બોધપાઠ છે.
- વલસાડ જિલ્લામાં હાલમાં બની ચૂકેલા અને બની રહેલા મોટાભાગના રેલવે ઓવરબ્રિજ કે હાઇવે પરના બ્રિજ સિંગલ-લેન અને વાંકાચુંકા (સર્પાકાર) છે. તો, નેશનલ હાઇવે નંબર 48 પર બલિઠા પાસે બની રહેલ FOB અને પારડી પાસે બની ગયેલ હાઇવે ક્રોસિંગ માટેનો ફૂટ ઓવર બ્રિજની ડિઝાઇન અનેક લોકોના કહેવા મુજબ ગંભીર અકસ્માતને નોતરું આપશે.
- હાઇવે પર ના ક્રોસિંગ માટેના ફૂટ ઓવર બ્રિજ નીચા હોય થોડા સમય પહેલા જ એક મોટું કન્ટેઇનર તેમાં ફસાયું હતું. ત્યારે સદનસીબે જાનહાની ટળી હતી.
તો, ROB ના કામ પણ ઘણાખરા તકલાદી છે. ત્યારે, આ અંગે પણ NHAI, PWD, રેલવેના અધિકારીઓનું પૂછાણું લેવા લોકોએ આગળ આવી સવાલો કરવા જરૂરી છે.
નેશનલ હાઇવે પર પાલઘર જિલ્લામાં આવેલ ચારોટી ખાતે 4 સપ્ટેમ્બર 2022 ના બપોરે 2:30 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મર્સિડીઝ કાર હાઈવે પરથી નીચે ઉતરીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ કારમાં સવાર સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું અકસ્માતમાં અવસાન થયું હતું. જ્યારે અનાહિતા પંડોલે અને ડેરિયસ પંડોલેને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ સ્થળ સ્થાનિક લોકોમાં “બ્લેક સ્પોટ” તરીકે જાણીતું છે. ચારોટી બ્રિજ પર ત્રણ લેનનો રોડ અચાનક સુર્યા નદીના પુલ પર બે લેનમાં ફેરવાઈ જાય છે, જે હાઈ-સ્પીડ વાહનો માટે ખતરનાક છે. તપાસમાં જાણવા મળ્યું કે વાહનની ઝડપ વધુ હતી અને રોડની ખામીયુક્ત ડિઝાઈન આ અકસ્માતનું મુખ્ય કારણ હતું.
એક્ટિવિસ્ટ મયૂર ઠાકુર અને ભૂમિપુત્ર સંગઠનના લાંબા સમયના આંદોલન બાદ NHAIએ ત્રણ ભાગનું સલામતી ઓડિટ કર્યું. હવે આ સ્થળને “ગો-સ્લો” અને “નો-ઓવરટેકિંગ” ઝોન બનાવવાનો નિર્ણય લેવાયો છે. NHAI પ્રોજેક્ટ ડિરેક્ટર સુહાષ ચિટનીસે એક અંગ્રેજી અખબારના રિપોર્ટરને જણાવ્યું કે આ ઓડિટ એક્ટિવિસ્ટોની માંગણીઓ બાદ જ શરૂ થયું હતું.
પરંતુ, ₹600 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એક્ટિવિસ્ટો નારાજ છે. તેઓનું કહેવું છે કે આ ભલામણો પહેલાં જ અમલમાં મૂકાઈ હોત તો ઘણા જીવ બચી શક્યા હોત. હવે સવાલ એ છે કે આ સુધારણાઓ ખરેખર અકસ્માતો રોકી શકશે?