વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે. જે બાદ GPCB એ પણ કાર્યવાહી હાથ ધરી 123 જેટલા ભંગારના ગોડાઉન માલિકોને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે.
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા, ચણોદ વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા મળીને અંદાજીત 3500થી વધુ ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં કંપનીઓનો વેસ્ટ લાવી તેને સોર્ટીગ કરી નકામો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં ઠાલવવાની અને તેને સળગાવી નાખવાની ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ભંગારીયાઓની GIDC ના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ, હેઝરડ્સ વેસ્ટ, નકામો ભંગાર આવા ગોડાઉન માં એકઠો કરે છે. જેના કારણે જળ જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. તો, સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ બીમારીઓમાં ધકેલી રહ્યા છે. આવી અનેક બાબતો ધ્યાને આવ્યાં બાદ મહાનગરપાલિકા એ તેઓને સિધાદોર કરવા વિવિધ મંજૂરીઓ માટે નોટિસ ફટકારી છે. આ નકશે કદમ પર GPCB એ પણ 123 જેટલા ગોડાઉન માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, હવે આ સમગ્ર વિસ્તારમાં આ કાર્યવાહી બાદ કેટલાક નફ્ફટ ભંગારિયાઓ અને સ્થાનિકોએ એવી બુમરાણ મચાવી છે કે, જો આ વિસ્તારમાં ભંગારીયાઓ સામે થયેલ કાર્યવાહી બાદ તેઓ અહીંથી તેમનો ધંધો બંધ કરશે તો એકાદ લાખ લોકો બેરોજગાર બનશે. પરંતુ તેઓ એ નથી વિચારતા કે જો આ ધંધો બેરોકટોક ચાલશે તો, તેનાથી પર્યાવરણને નુકસાન તો થશે જ પણ સાથે આ વિસ્તારમાં રહેતા અસંખ્ય લોકો ચામડીના, દમ ના અને અન્ય ગંભીર બીમારીઓનો ભોગ બનશે. હાલમાં એક તારણ મુજબ સૌથી વધુ ગંભીર બીમારીઓનો અને ચામડી સહિત અન્ય શ્વાસની બીમારીઓના દર્દીઓ આ વિસ્તારમાં સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલ મેપથી જોતા પણ આ વિસ્તાર સૌથી વધુ ભંગારિયાઓના ભંગારનો ખડકલો ધરાવતો વિસ્તાર નજરે પડે છે. એ ઉપરાંત આગના બનાવો, વેપાર ધંધાની અદાવતમાં થતી મારામારી, અનૈતિક પ્રવૃતિઓ માટે પણ નામચીન વિસ્તાર બન્યો છે. ત્યારે, આ તમામ બદીઓ પર અંકુશ મેળવવા ભંગારીયાઓ સામે મનપા કમિશ્નરની સાથે GPCB ની આ કાર્યવાહી સરાહના યોગ્ય છે. ભંગારીયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા કસેલી કમર સાર્થક થાય તે જરૂરી છે.