Saturday, June 21News That You Want to Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામા આવેલ બરૂમાળમાં ભગવાન શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના રજતોત્સવ અને ભારત વિશ્વગુરૂ બને એવા સંકલ્પ સનાતન 2025ના આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વેદ મંત્રોચ્ચારના નાદ સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો.

મંદિરના પટાંગણમાં 10 યુગલોના યજમાનપદે ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કરી મુખ્યમંત્રીએ યજ્ઞ શાળાની પરિક્રમા કરી હતી. તેમજ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બરૂમાળ મંદિર દ્વારા ૨૫ વર્ષની સેવા, સમર્પણ અને સંસ્કૃતિની વિકાસની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીએ નિહાળી હતી.

સનાતન ધર્મ આજે વિશ્વને દિશા નિર્દેશ કરી રહ્યો છે, ત્યારે આ બરૂમાળ સદગુરુધામ સનાતન ધર્મનું ઉત્તમ દ્રષ્ટાંત હોવાનું જણાવી મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આદિવાસી ક્ષેત્રમાં વ્યસન અને કુરિવાજ જેવી અનેક સામાજિક બદીઓ નિવારવા સદગુરુ ધામે ઘરે ઘરે જઇને સનાતન ધર્મની જ્યોત જગાવી છે. આજે દરેક ઘરમાં ગીતા અને ગંગાજળ જોવા મળે છે. સનાતન ધર્મને જાળવી રાખવાનું કામ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની સાથે આરોગ્ય સેવામાં આ સદગુરૂ ધામે આપેલા યોગદાન અંગે જણાવ્યું કે, આ પવિત્ર ધામ અંતરિયાળ વિસ્તારમાં જઇને આદિવાસી સમાજની સેવા કરે છે. આપણી સંસ્કૃતિ ગૌ- ગંગા અને ગાયત્રીની છે. અહીં ૨૫૦થી વધુ ગાયોની સેવાનો યજ્ઞ ચાલે છે. જે સનાતન સંસ્કૃતિનું ઉદાહરણ છે. આપણે સૌ સનાતન સંસ્કૃતિના વાહક બનીશું તો વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે વિશ્વગુરુ જરૂર બનશે.

પ.પૂ.પરમાદર્શ આચાર્યશ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે ઑમની ધ્વનિ ગુંજ સાથે ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે, પહેલા અહીં રસ્તા ન હતા. કોઈ સુવિધા ન હતી. વિષમ પરિસ્થિતિમાં જાતપાતનો ભેદભાવ દૂર કરી સૌને આત્મસાત કર્યા હતા. આદિવાસીઓના ઘરે ભોજન કરી તેઓની સેવા કરી દરેક ગામ, દરેક ઝોપડીને મંદિર બનાવી સનાતન ધર્મની ધ્વજા લહેરાવી છે. આ આદિવાસી સમાજ સનાતન સંસ્કૃતિના અનુયાયી છે. વધુમાં તેમણે આશીર્વચન આપતા કહ્યું કે, જીવન સાદું અને ખાણી પીણી શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. મુખ્યમંત્રીશ્રીના આગમનને સ્વામીજીએ વધાવી શાલ ઓઢાડી જણાવ્યું કે, આજના આ ગૌરવ પળની ઘણા વખતથી પ્રતિક્ષા હતી જે આજે સફળ રહી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *