રાજસ્થાનમાં સરદાર શહેરમાં બિરાજમાન શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજીનો અનેરો મહિમા છે. ભારતભરમાં તેની અનેક શાખાઓ દ્વારા તેમના ભક્તો સતત તેનો પ્રચાર પ્રસાર કરવા સાથે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. વાપીમાં પણ છેલ્લા 11 વર્ષથી બજરંગબલીના ભક્તો શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના નેજા હેઠળ સામાજિક સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ફેલાવી રહ્યા છે. તો, દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે. જેના ઉપલક્ષ્યમાં આ વર્ષે 12મી એપ્રિલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપીમાં 11 વર્ષથી કાર્યરત શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના સભ્યોએ એક બેઠકનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવા રાજા પિલ્લઈ અને સભ્ય સુનિલ શર્માએ વિગતો આપી હતી કે, વાપીમાં આગામી 12મી એપ્રિલના દિવસે હનુમાન જયંતી નિમિત્તે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ લક્ષ્મીભૂલા પાર્ટી પ્લોટ ખાતે ભજન સંધ્યા, સુંદરકાંડ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા આ પ્રકારનું આયોજન દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે કરે છે. આ વર્ષે પણ તે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ બાલાજીના ભક્તો ઉપસ્થિત રહે અને સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનો લાભ લેવા સાથે ભગવાન બાલાજી ના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે બપોરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ બાબાની જ્યોત જલાવશે. સાંજે ભજન સંધ્યા હશે. જેમાં હરિયાણા અને વૃંદાવનના જાણીતા કલાકારો ભજન સંધ્યા ની રમઝટ બોલાવશે. જે બાદ મહાપ્રસાદનું આયોજન હોય અંદાજિત 8,000 થી વધુ હનુમાન ભક્તો આ મહાપ્રસાદનો લાભ લેશે.
ઉલ્લેખનીય છે કે વાપીમાં કાર્યરત શ્રી ઈચ્છા પૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી અવિરત દર શનિવારે કોઈપણ એક ભક્તના ઘરે નિઃશુલ્ક સંગીત સાથેના સુંદરકાંડનું આયોજન કરે છે. એ ઉપરાંત વાપીના વિવિધ વિસ્તારમાં ઉનાળાના સમયે પાણીની પરબ, ગરીબ દીકરા દીકરીઓની શિક્ષણ માટેની જરૂરિયાત પૂરી કરવી. ગરીબ દીકરીઓના લગ્ન કરાવી આપવા જેવા સામાજિક કાર્યો પણ કરે છે.