શનિવારે 19મી એપ્રિલ 2025ના વાપી મહાનગરપાલિકા ખાતે કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી,નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતામાં મનપા કમિશ્નર યોગેશ ચૌધરી, સાંસદ વલસાડ-ડાંગ ધવલ પટેલ તથા ધારાસભ્ય ઉમરગામ રમણ પાટકરની હાજરીમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી.
આ બેઠકમાં નાણામંત્રીએ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોની સમીક્ષા કરી અને હાલમાં ચાલી રહેલ કામો સમયસર પૂર્ણ થાય અને નગરજનોને અગવડ ના પડે તેવી કાળજી લેવા જણાવ્યુ હતું. તો, આગામી ચોમાસા પૂર્વે કરવામાં આવનાર કામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ રસ્તાના મહત્તમ કામો મે મહિનામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.
જે અંગે વાપી મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીએ વિગરવાર માહિતી આપી હાલમાં ચાલી રહેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, રોડ રસ્તાના કામોની વિગત તથા પ્રિ-મોન્સૂન અંગે કરવામાં આવનાર કામગીરી અંગેનો રોડમેપ રજૂ કરી સમિતિના સભ્યોને અવગત કરાવવામાં આવ્યા.
વધુમાં વાપી મહાનગરપાલિકાના પૂર્વ અને પશ્ચિમ વિભાગના ઇન્ટરકનેકટિંગના મહત્વના પ્રોજેકટ જેવા કે બલિઠા બ્રીજની બીજી લેનની કામગીરી, બલિઠા ખાતેના અંડરબ્રિજ, જે ટાઈપ બ્રિજ તથા વાપી મેઈન બ્રિજના કામમાં સમાવિસ્ટ અંડરબ્રિજની કામગીરી અંગે નાણામંત્રીએ તથા સાંસદે જરૂરી સૂચન કર્યા હતાં. આ કામો જલ્દીથી પૂર્ણ થાય તે અંગે જરૂરી આયોજન કરવા સિટી ઈજનેરને જણાવ્યુ હતું.
આ સંકલ સમિતિની બેઠકમાં નાયબ કમિશ્નર અશ્વિન પાઠક, સિટી ઈજનેર જતીન પટેલ, ટાઉન પ્લાનર હિમાંશુ પરમાર તથા તમામ શાખા અધ્યક્ક્ષો ઉપસ્થિત રહ્યા હતાં.