જમ્મુ કાશ્મીરમાં પહલગામના પ્રવાસે આવેલા ભારતીયો પર આતંકવાદીઓએ ગોળીબાર કરી 27 નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ દુઃખદ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાને લઈ ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે, વાપીમાં પણ સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.
વાપીમાં મહાનગરપાલિકા કચેરીથી ઝંડા ચોક સુધીની આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતાં. જેઓએ આતંકવાદ મુર્દાબાદ, આતંકવાદી કા કોઈ ધર્મ નહીં હોતા, અમે તમામ ભારતીયો પહેલગામ આતંકવાદી ઘટનાની નિંદા કરીએ છે. તેવા વિવિધ બેનર સાથે આ મૌન રેલી યોજી હતી. મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, હાથમાં કાળા બેનર સાથે આ મૌન રેલી કાઢી હતી.
પહેલગામની ઘટના બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. કે, અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને નિર્દોષ ભારતીયો પર ગોળીબાર કરનાર દરેક આતંકવાદીને પકડી સરકાર ફાંસીની સજા આપે. આ ઘટનાએ આખા દેશના નાગરિકોમાં આક્રોશ જગાવ્યો છે. સરકાર સરહદ પર કડક સુરક્ષા ગોઠવે. આવી ઘટના ફરી ના બને કોઈ નિહથ્થા નિર્દોષ ભારતીય નાગરીકોના જીવ જાય નહીં તેવી તકેદારી રાખે. અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાની નિંદા કરીએ છીએ.