મહારાષ્ટ્ર રાજ્યનાં કોચાઈ ગામેથી પસાર થતો વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટનાં પેકેજ નંબર 10 માં સંપાદિત આદિવાસીઓની જમીન, ઘર તથા ઝાડોનું યોગ્ય વળતર ન ચૂકવાતાં વિવાદ ઉભો થયો હતો.
મળતી વિગતો મુજબ ગામલોકો અને એક્સપ્રેસ વે કામગીરીના ઠેકેદારો, અધિકારીઓ સાથેના આ વિવાદમાં પેકેજ નંબર 10ની કામગીરી ખોરંભે ચડી હતી. વિવાદ કોચાઈ, બોરમાળ જેવાં વિસ્તારોમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે પર થયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ એકઠા થયા હતાં. આ સમયે આદિવાસી લોકોનો અવાજ દબાવવા ત્રણસો જેટલાં પોલીસોનો કાફલો ખડકી દેવાયો હતો. તેમ છતાં આ લોકોએ જરાં પણ ડર્યા વિના પોતાનો સંઘર્ષ ચાલું રાખ્યો હતો.
શુક્રવારે કોચાઈ ગામે એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય શરૂ કરાવવાં દોઢસો જેટલાં પોલીસ કાફલા સાથે NHAI, ઠેકેદાર કંપની Roadway Solutions India Infra Ltd., દહાણૂ પ્રાંત કચેરીનાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ગામલોકોની એક્તા જોઈ મામલો બીચકે તે પહેલાં પ્રાંત અધિકારીએ જમીન, ઘર તથા ઝાડ વિહોણા લોકો પાસેથી વળતર બાબતે તાગ મેળવી ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બરોડા મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેકટ અંતર્ગત પેકેજ નંબર 10 કરવડથી તલાસરી સુધીનો સ્ટ્રેચ છે. વલસાડ જિલ્લામાં જૂજવાં થી તલાસરી સુધીના પેકેજ 8, 9 અને 10ની ઠેકેદાર કંપની Roadway Solutions India Infra Ltd. છે. જે આ કામગીરીમાં શરૂઆતથી વિવાદમાં રહેતી આવી છે.