વાપીમાં છેલ્લા 4 વર્ષથી પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિપ્ર ફાઉન્ડેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા આ પ્રયાસ કરવામાં આવે છે.
વિપ્રો ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 131 યુનિટ રક્ત જમા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના ફર્સ્ટ ડોનર મહર્ષિ ભરતભાઈ ઠક્કર અને રાજવીર કૌશિકે રક્તદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. આ રક્તદાન શિબિર અંગે વિપ્ર ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવ રતન મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે 150 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવમાં આવે છે. એ રક્તદાન કેમ્પમાં વિપ્ર ફાઉન્ડેશન ના સભ્યો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સભ્યોએ રક્તદાન કર્યું હતું.
તો, આ રક્તદાન શિબિર અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના માજી પ્રમુખ અરવિંદ શાહે જણાવ્યું હતું કે, વાપી એક ઔદ્યોગિક નગરી છે. જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહત્વનો ઉદ્યોગ છે. તેમજ અહીંથી જ નેશનલ હાઈવે પસાર થતો હોય મોટી સંખ્યામાં અકસ્માતના બનાવ બને છે. જે સમયે દર્દીઓને કોઈપણ પ્રકારની લોહીની ઘટ વર્તાય નહીં તે માટે દર વર્ષે વિપ્ર ફાઉન્ડેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સહયોગમાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં વિપ્ર ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવ રતન મિશ્રા, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કર, VIA માજી પ્રમુખ ચંદ્રકાંત પંડ્યા, VIA માજી પ્રમુખ કમલેશ પટેલ, નગરપાલિકાના માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માજી પ્રમુખ અરવિંદભાઈ શાહ, સેક્રેટરી એ. એમ. બાલાજી વિપ્ર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ પવન શર્મા, બી. કે. દાયમાં, રાજેશ શર્મા, ગોપીનાથ શર્મા, સુનીલ શર્મા વગેરેએ હાજરી આપી હતી. દીપ પ્રાગટ્ય લોહાણા સમાજના અગ્રણી કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.