વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલની સામે આવેલી જિલ્લા કક્ષાની “નોંધણી ભવન” કચેરીનો જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલના વરદહસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષક અને સબ રજીસ્ટ્રારને સુચન કરવામાં આવ્યું કે, દસ્તાવેજોના રજીસ્ટ્રેશન બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે અને લોકોને રજીસ્ટર થયેલા દસ્તાવેજોની કાયદેસરતા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયત્ન કરવા જરૂરી છે. તેમ જણાવી યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપર્યા વિનાના અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયા ન હોય તેવા દસ્તાવેજો પુરાવામાં લઈ ન શકાય તેની જાણ માટે જાગૃતિ કાર્યક્રમો રાખવા અનુરોધ કર્યો હતો.
“નોંધણી ભવન”નાં શુભારંભ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ અને નાણા વિભાગ તરફથી જાહેર જનતાને સારી સગવડો ઉપલબ્ધ બને તે માટે “નોંધણી ભવન’’ કચેરીનું રીનોવેશન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત (1) દસ્તાવેજ નોંધણીના કામે આવનાર નાગરિકો માટે અદ્યતન વાતાનુકૂલ (A.C) વેઈટિંગ રૂમની સગવડ અને (2) સબ રજીસ્ટ્રાર કચેરી વલસાડ ખાતે પહેલા એક સબ રજીસ્ટ્રાર ગ્રેડ – 01 કક્ષાના અધિકારી દીઠ પ્રતિદિન 37 ટોકન ઉપલબ્ધ હતા એટલે કે તાલુકામાં દરરોજ 37 દસ્તાવેજોની નોંધણી થઈ શકતી હતી.
જેમાં વધારો કરવા વલસાડ તાલુકામાં સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 ની એક નવી જગ્યા ઉભી કરવામાં આવી જેથી વલસાડ તાલુકામાં બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 37+37= 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર લોકોને સારામાં સારી સેવા આપી શકાય તે માટે સતત પ્રયત્નશીલ હોવાનું ધારાસભ્ય ભરત પટેલે વધુમાં જણાવ્યુ હતું.
જીલ્લામાં રજીસ્ટ્રાર અને કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા નોંધણી ભવનના રીનોવેશન અંતર્ગત અદ્યતન વેઇટિંગ રૂમ સહિત નવી કચેરી શરૂ થતાં દરરોજ 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
જેથી દસ્તાવેજોની નોંધણી કરાવવી સરળ બનશે. કચેરીના રિનોવેશનથી અધિકારીઓ- કર્મચારીઓ અને દસ્તાવેજ નોંધણી કરાવવા માટે આવતા નાગરિકોને સુગમતા રહેશે. ઓછા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવા બદલ કલેકટરએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
“નોંધણી ભવન”નાં શુભારંભ કાર્યક્રમની શરૂઆત મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડી. એમ. પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. નોંધણી પરિવાર તરફથી મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે રીબીન કાપી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી/મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી, ગ્રેડ- 01 અને સબ રજીસ્ટ્રાર કચેરી, ગ્રેડ- 02 નો શુભારંભ કરવામા આવ્યો હતો. મહાનુભાવો દ્વારા આસોપાલવના વૃક્ષો, તુલસીના છોડ, ગુલાબના છોડ, બારમાસીના છોડ અને અન્ય સુશોભિત છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મુકેશ પટેલ, વલસાડ તાલુકા સંગઠનના પ્રમુખ તેજસ પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર કચેરી અને નોંધણી પ્રભાગના અધિકારીઓ/કર્મચારીઓ, મામલતદાર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ, વકીલો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.