ધરમપુરની સિવિલ કોર્ટમાં કૌટુંબિક તકરારને લગતા વિવિધ કેસોનાં ઝડપથી સુખદ અને સમાધાનકારી નિકાલ લાવવાના ઉદ્દેશ્ય સાથે અલાયદી ફેમિલી કોર્ટ કાર્યરત કરવામાં આવી છે.
ધરમપુર તથા કપરાડા તાલુકાનાં નાગરિકો માટે સિવિલ કોર્ટનાં બીજા માળે શરૂ થયેલી આ ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ જજ શ્રીમતી ડો. બી. કે. જાદવે ચાર્જ સંભાળ્યો છે. આ અવસરે ધરમપુર કોર્ટનાં એડી. ડિસ્ટ્રીક જજ તથા પ્રિન્સિપાલ સિવિલ જજ અને ધરમપુર તથા કપરાડાનાં તમામ વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
ધરમપુરમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી દર મહિનાંની 25 અને 26 તારીખે મળનારી આ ફેમિલી કોર્ટની રચના ભરણપોષણનાં કેસો, લગ્નસંબંધી દાવાઓ, બાળકોની કસ્ટડીનાં કેસો સાંભળવા માટે કરવામાં આવી છે.
કૌટુંબિક તકરારોનાં કેસોનાં ઝડપથી નિકાલ માટે જરૂર પડ્યેથી ટ્રેઇન્ડ મીડિયેટર, કન્સીલેટર તેમજ સામાજીક સેવાભાવી સંસ્થાઓની પણ મદદ મળી રહેશે. આ ફેમિલી કોર્ટ શરૂ થવાથી છેવાડાનાં ધરમપુર તથા કપરાડા તાલુકાનાં નાગરિકોને તેમના કૌટુંબિક તકરારોનાં કેસોનું ઝડપથી નિકાલ મળશે એવી આશા ઉભી થઇ છે.
અલાયદી ફેમિલી કોર્ટ કાર્યરત થવાથી દૂરદૂરથી આવતા નાગરીકોનો સમય બચી જશે, પૂરતો સમય મળવાથી કૌટુંબિક તકરારોનાં કેસોનો ઝડપથી નિકાલ થશે, ફેમિલી કોર્ટ કાર્યરત કરવાનો નિર્ણય આવકારદાયક છે :- જયદીપસિંહ સોલંકી, પ્રમુખ ધરમપુર વકીલ મંડળ