વાપી નજીક દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, જે 1997થી બહેરા-મૂંગા અને દિવ્યાંગ બાળકોને નિશુલ્ક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવે છે, ત્યાં 1લી જૂન 2025ના ખુશીનો શુભ પ્રસંગ યોજાયો હતો. અહીં જ મોટો થયેલ મુક બધિર યુવક રાધેશિવના મુકબધીર યુવતી અંબા સાથે લગ્ન યોજાયા હતાં. જેમાં આ નવદંપતિ લગ્નગ્રંથી ના બંધને બંધાયા હતાં.
આ સંસ્થામાં 120થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે. ટ્રસ્ટમાં અનાથ યુવક રાધે શિવના લગ્નનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. મોહન દેવ અને ડૉ. ચિંતન પટેલે જણાવ્યું કે, 15 વર્ષ પહેલાં પોલીસ દ્વારા સોંપાયેલા આ અનાથ બાળકને ટ્રસ્ટે માતા-પિતાનો સ્નેહ આપી, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવ્યો. આજે રાધે શિવના લગ્ન ધગડમાળના મોહનભાઈ કલ્યાણભાઈ પટેલ અને રમીલાબેન મોહનભાઈ પટેલની પુત્રી અંબાબેન સાથે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા છે.
ટ્રસ્ટી જ્યોતિબેન અશોકકુમાર શાહે જણાવ્યું કે, આ લગ્ન પ્રસંગ નિમિત્તે રાધે શિવના માતા-પિતા બનવાનો અનુભવ અત્યંત આનંદદાયક રહ્યો છે. આ પહેલાં ટ્રસ્ટે એક દીકરીના લગ્ન કરાવ્યા હતા, અને આ બીજો ખુશીનો પ્રસંગ છે. લગ્ન પ્રસંગમાં સમાજના આગેવાનો, દાતાઓ અને ટ્રસ્ટીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતાં.
મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની આ પહેલ દિવ્યાંગ અને અનાથ બાળકોને શિક્ષણ, સ્નેહ અને સ્વાવલંબી જીવન આપી, સમાજમાં સન્માનજનક સ્થાન અપાવવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.