ઇતિહાસ તેમજ પ્રકૃતિના અદ્ભુત સમન્વયનો અનુભવ કરાવતું અનોખું પ્રવાસન સ્થળ
આજે અમે તમને લઈ જઈએ છીએ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા પાલી કરમબેલી ગામમાં, જ્યાં એક ઐતિહાસિક અને પ્રકૃતિની ગોદમાં વસેલો કિલ્લો આવેલો છે. આ કિલ્લાને ઇન્દ્રગઢ ના નામે ઓળખવામાં આવે છે. લોકવાયકા અનુસાર, આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે બંધાવ્યો હતો અને તેમની લશ્કરી છાવણીનું કેન્દ્ર હતું.
Advertisement
આશરે 350 વર્ષ જૂનો આ કિલ્લો આજે પણ પથ્થરના મજબૂત બાંધકામને કારણે અકબંધ રહ્યો છે, જોકે ઝાડીઓના ઉગાવા અને જાળવણીના અભાવે કેટલીક દીવાલો જર્જરિત થઈ ગઈ છે. આ કિલ્લામાં બે મુખ્ય પ્રવેશદ્વાર, સૈનિકોના રહેઠાણ માટે આવાસ અને ચોગાનમાં એક કુંડ આવેલું છે. કુંડમાં આજે પણ આખું વર્ષ પાણી સુકાતું નથી.
Advertisement
કિલ્લાની બહાર ચેરુંમાતાનું નાનું દેરું છે, જ્યાં આસપાસના ગ્રામજનો દર્શન માટે આવે છે. આ કિલ્લો વનરાજીથી ઘેરાયેલો છે, જે વલસાડ ફોરેસ્ટ વિભાગના હસ્તક છે. અહીં સાગ અને કાજુ સહિતના અનેક ઝાડ રોપવામાં આવ્યા છે, જે આ વિસ્તારને લીલોતરી અને પ્રકૃતિની ગોદમાં હોવાનો એહસાસ કરાવે છે.
Advertisement
પર્વતની ટોચ પરથી દમણ અને તેનો દરિયા કિનારો નજરે પડે છે, જે પ્રવાસીઓ માટે એક નયનરમ્ય દૃશ્ય છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો ગુજરાત સરકાર આ કિલ્લાની યોગ્ય માવજત અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરે, તો આ સ્થળ દમણની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બની શકે છે.
આ ઐતિહાસિક કિલ્લો અને તેની આસપાસની હરિયાળી પર્યાવરણ પ્રેમીઓ અને ઇતિહાસના શોખીનો માટે એક અનોખું સ્થળ બની શકે છે. આ ગામ પોતે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં મહાદેવ, લક્ષ્મીનારાયણ અને કાલિકા માતાના પૌરાણિક મંદિરો આવેલા છે. લોકવાયકા અનુસાર, વર્ષો પહેલા મધ્યપ્રદેશના ઝામ્બુઆથી આવેલા ઝાંબુ બ્રાહ્મણ પરિવારોએ આ મંદિરોનું નિર્માણ કર્યું હતું.
પાલી કરમબેલી ગામથી ઇન્દ્રગઢ કિલ્લા સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે, જેથી ટુ-વ્હીલર, કાર કે ઓટો રિક્ષા દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને ચોમાસામાં અહીંની હરિયાળી પ્રવાસીઓને આકર્ષે છે. તો આવો, આ ચોમાસામાં પાલી કરમબેલીના આ ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લો અને ઇતિહાસ તેમજ પ્રકૃતિના અદ્ભુત સમન્વયનો અનુભવ કરો.