વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામે થયેલી એક ગંભીર ઘટનાએ સ્થાનિક પ્રજા અને વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં, વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ, દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકીયા તેમજ સ્થાનિક સરપંચો દ્વારા આયોજિત એક ન્યાય સભામાં આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ગામની એક મહિલા જમીન માલિકે ભારે નુકસાન અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે.
આ ઘટના નિંદનીય છે અને રાજકીય આગેવાનો દ્વારા આવા વિવાદાસ્પદ નિવેદનો આપવા સામાજિક સંવાદિતા અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો બની રહે છે. બે દિવસ પૂર્વે મોટી તંબાડી ગામના વડીયા ફળિયામાં, જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના અન્યાય સામે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં અનંત પટેલે ગામના લોકોને ઉશ્કેરતાં જણાવ્યું હતું કે, “જો કોઈ બહારનો વ્યક્તિ તમારી જમીન પર કબજો કરે, તો તેને થપેડી લો અને પછી પોલીસ સ્ટેશને જઈ અરજી કરો.” આવા ભાષણો બાદ ગામના કેટલાક લુખ્ખા તત્વોએ સર્વે નંબર 452, 453, 488, 489 અને 491 ની જમીન ધરાવતી મહિલા, ઇલાબેનની જમીન પર તોડફોડ કરી. તેમની વાડીના તાર-ખૂંટા, CCTV કેમેરા અને શેડ તોડી નાખવામાં આવ્યા, તેમજ કેબિનમાં આગ લગાડી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. તોડફોડ કરનારા તત્વો CCTV કેમેરા અને DVR પણ સાથે લઈ ગયા છે. આ ઉપરાંત, વાડીમાં હાજર એક વ્યક્તિ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડવાની કોશિશ કરી.
આ ઘટના નિંદનીય અને ચિંતાજનક છે. રાજકીય આગેવાનો અને આદિવાસી નેતાઓની જવાબદારી છે કે તેઓ સમાજમાં એકતા અને શાંતિ જાળવે, પરંતુ આવા ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા લોકોને હિંસા અને કાયદો હાથમાં લેવા માટે પ્રેરવું એ ગંભીર ગુનો છે.
ઇલાબેન, જે પોતાની જમીનના કાયદેસર માલિક છે, તેમને આ ઘટના બાદ જીવનું જોખમ અનુભવાઈ રહ્યું છે. તેમના પરિવારમાં ગભરાટની સ્થિતિમાં છે અને તેઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી શરૂ કરી છે. તેમની માંગ છે કે, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર આ ઘટનાની ગંભીર નોંધ લઈ, ભોગ બનનાર મહિલા જમીન માલિક ઇલાબેનને તાત્કાલિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડે.
ઉશ્કેરણીજનક ભાષણો આપનાર આગેવાનો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. સાથે જ, જમીનના મૂળ માલિકોને ધમકાવવા અથવા તેમની મિલકતને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે કડક પગલાં લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, સમાજમાં શાંતિ અને કાયદાનું શાસન જાળવવા માટે સ્થાનિક તંત્રએ સંવેદનશીલ અને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ, જેથી નિર્દોષ નાગરિકોનું જીવન અને મિલકત સુરક્ષિત રહે.