ઉમરગામ તાલુકાની માણેકપુર આશ્રમ શાળા ખાતે આઝાદીના મહાનાયક અને આદિવાસી સમાજના ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ ઉમરગામ તાલુકાની માણેકપુર આશ્રમ શાળા ખાતે યોજાયો હતો. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને અન્ય મહાનુભાવોએ આ અવસરે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજન કર્યું હતું.
આ દ્રશ્ય માત્ર સામાજિક સમરસતા જ નહીં, પણ ગરીબ અને આદિવાસી વિસ્તારોના બાળકો પ્રત્યેની સંવેદના અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.
આ પ્રસંગે જગદીશ પંચાલ અને કનુભાઈ દેસાઈએએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના આ પવિત્ર અવસરે માણેકપુરની આશ્રમ શાળાના બાળકો સાથે ભોજન કરવાનો અવસર મળ્યો, જે અમારા માટે અસીમ સંતોષ અને હૃદયને ખરી ટાઢક આપનારો રહ્યો. આ ભૂલકાંઓની આંખોમાં રહેલી પ્રસન્નતા અને ઉત્સાહ જોઈને એવું લાગ્યું કે રાષ્ટ્રનિર્માણ અને ‘જનજાતીય ગૌરવ વર્ષ’નો હેતુ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે જ અમારો સંકલ્પ છે.”
આ તસવીરોમાં મહાનુભાવો બાળકોની વચ્ચે સાદગીપૂર્વક જમીન પર બેસીને ભોજનનો સ્વાદ માણી રહ્યા છે, જે આદિવાસી સમાજ અને બાળકોના વિકાસ પ્રત્યે સરકારની નિષ્ઠા દર્શાવે છે. આ આખો કાર્યક્રમ ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સૂત્રને અનુરૂપ, આદિવાસી સંસ્કૃતિના ગૌરવ અને સર્વસમાવેશક વિકાસની ભાવનાને પ્રોત્સાહિત કરે છે.
આવા કાર્યક્રમો દ્વારા ભગવાન બિરસા મુંડાના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો અને આદિવાસી સમુદાયના યોગદાનને સન્માનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
![]()




