કરવડમાં દમણગંગા નહેર પાસે પ્લોટ નંબર 217 ખાતે એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા કાર્યરત છે. આ શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે. જો કે, શાળા દ્વારા બાળકોને લાવવા-લઈ જવા માટે વપરાતી બસની હાલત અત્યંત જર્જરિત છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
બસમાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે, અને તેના કાચ પણ તૂટેલા છે. આ જર્જરિત હાલતને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોએ શાળા સંચાલકોને આ અંગે ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
શાળા સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, બસનું મોટાભાગનું સમારકામ વેકેશન દરમિયાન કરવામાં આવે છે. હાલમાં શાળામાં બે બસ છે, જેનો ઉપયોગ ગરીબ બાળકોને લાવવા-લઈ જવા માટે થાય છે. આ બાળકોને ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો આસપાસના ગરીબ પરિવારોના છે. ઘણા બાળકોની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે તેઓ સ્કૂલ ડ્રેસ પણ ખરીદી શકતા નથી. પરિણામે, ઘણા બાળકો વર્ષ વીતવા છતાં પણ સ્કૂલ ડ્રેસ વિના શાળાએ આવે છે.
શાળા એક-બે માળના ચાલી જેવા મકાનમાં ચાલે છે, જેમાં પાંચ ઓરડામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ શાળા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને સેવાના હેતુથી કાર્યરત છે.
સ્થાનિક લોકો અને વાલીઓની માંગ છે કે શાળા સંચાલકો તાત્કાલિક બસની જર્જરિત હાલત સુધારે અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરે.