
Vihar Vaishnav: રેલ્વે સ્ટેશનો લાંબા સમયથી ભારતીય નગરો અને શહેરોના હૃદયના ધબકારા રહ્યા છે, જે વાર્તાઓ, યાદો અને ગતિવિધિઓથી ભરેલા છે. વર્ષોથી આ સ્ટેશનોએ લાખો લોકોની વિશ્વાસુપણે સેવા કરી છે, ત્યારે આમાંની ઘણી જગ્યાઓ મોટાભાગે યથાવત રહી છે, શાંતિથી એક નવા અધ્યાયની રાહ જોઈ રહી છે, અને તે ક્ષણ આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, રાજસ્થાનના બિકાનેરથી 18 રાજ્યોમાં 103 અમૃત ભારત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, ત્યારે જાણીએ કે શું છે આ અમૃત ભારત સ્ટેશન યોજના.
આ યોજના સમગ્ર ભારતમાં રેલ્વે સ્ટેશનોને તબક્કાવાર રીતે સુધારવા માટે એક લાંબા ગાળાની યોજના છે. અમૃત ભારત સ્ટેશન યોજના યોજના હેઠળ, દરેક સ્ટેશન માટે વિગતવાર યોજનાઓ બનાવવામાં આવે છે અને દરેક સ્ટેશનની જરૂરિયાતોના આધારે તબક્કાવાર કાર્ય કરવામાં આવે છે.
અમૃત ભારત સ્ટેશન યોજનાનો ધ્યેય
આ યોજનાનો હેતુ સ્ટેશનોને સ્વચ્છ, વધુ આરામદાયક અને ઉપયોગમાં સરળ બનાવવાનો છે . આમાં પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો, વેઇટિંગ હોલ, શૌચાલય, પ્લેટફોર્મ અને છત સુધારવાનો સમાવેશ થાય છે. જરૂરીયાત મુજબ લિફ્ટ, એસ્કેલેટર અને મફત Wi-Fi જેવી સુવિધાઓ ઉમેરવામાં આવે છે. પ્રવાસીઓને મદદ કરવા માટે વધુ સારા સાઈન બૉર્ડઝ અને ઈન્ફૉર્મેશન સિસ્ટમ્સ પણ છે. કેટલાક સ્ટેશનો પર એક્ઝિક્યુટિવ લાઉન્જ અને બિઝનેસ મીટિંગ માટે ખાસ સુવિધાઓ રહેશે.
‘વન સ્ટેશન વન પ્રોડક્ટ ‘ યોજના હેઠળ કિઓસ્ક પર સ્થાનિક ઉત્પાદનો વેચવામાં આવશે , અને સ્ટેશનોને વધુ હરિયાળા અને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
‘વન સ્ટેશન વન પ્રોડક્ટ ‘નો ઉદ્દેશ્ય દેશભરના રેલ્વે સ્ટેશનો પર પ્રદર્શન અને વેચાણ આઉટલેટ્સ પૂરા પાડીને ભારતના સ્વદેશી અને વિશિષ્ટ ઉત્પાદનો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉત્પાદનો સ્થાનને અનુરૂપ હશે, જેમાં સ્વદેશી વનબંધુઓ દ્વારા બનાવેલી કલાકૃતિઓ, સ્થાનિક વણકર દ્વારા હાથવણાટ, હસ્તકલા, ચિકનકારી અને ઝરી-ઝરદોઝીનું કામ અથવા મસાલા ચા, કોફી અને અન્ય પ્રોસેસ્ડ/સેમી પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો/ઉત્પાદનોનો સમાવેશ થાય છે જે એજ વિસ્તારમાં સ્વદેશી રીતે ઉગાડવામાં આવે છે.
અમૃત ભારત મિશન યોજના સ્ટેશન બિલ્ડીંગોને અપગ્રેડ કરવા, શહેરના બંને બાજુઓને સ્ટેશન દ્વારા જોડવા અને બસો અને મેટ્રો જેવા અન્ય પરિવહન વિકલ્પો સાથે સ્ટેશનોને જોડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્ટેશનોને અનુકૂળ બનાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. પર્યાવરણને અનુકૂળ ઉકેલો, અવાજ-મુક્ત ટ્રેક અને વધુ સારું આયોજન પણ સુધારાઓનો એક ભાગ છે. લાંબા ગાળે, સ્ટેશનોને ગતિશીલ સિટી સેન્ટરોમાં ફેરવવાનો ઉદ્દેશ્ય છે જે ફક્ત મુસાફરી ઉપરાંત ઘણા હેતુઓ પૂરા પાડે છે.
અમૃત ભારત સ્ટેશન યોજના ભારતીય રેલ્વે દ્વારા લાખો પ્રવાસીઓ માટે પ્રવાસનો અનુભવ વધારવા માટે તેની માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવાના એક સંકલિત પ્રયાસને દર્શાવે છે. આ યોજનામાં એસ્થેટિકલિ ડિઝાઇન કરાયેલા ફસાડ્સ એટલે કે રવેશ, રિસર્ફેસ્ડ પ્લેટફોર્મ, સુંદર લેન્ડસ્કેપિંગ, રૂફ પ્લાઝા, કિઓસ્ક, ફૂડ કોર્ટ, બાળકો માટે પ્લે એરિયા સહિતની આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. સરળ ઍક્સેસ સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં રસ્તાઓ પહોળા કરવા, અનિચ્છનીય બાંધકામો દૂર કરવા, સારી રીતે ડિઝાઇન કરેલા સાઇનેજ સ્થાપિત કરવા, સમર્પિત રાહદારી માર્ગો સ્થાપિત કરવા અને પાર્કિંગ સુવિધાઓ વધારવાનો સમાવેશ થાય છે, તેમજ સુધારેલી લાઇટિંગ વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.
અમૃત ભારત સ્ટેશન યોજનાની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે પુનઃવિકાસિત સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત છે. ઉદાહરણ તરીકે, અમદાવાદ સ્ટેશન મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરણા લે છે, જ્યારે દ્વારકા સ્ટેશન દ્વારકાધીશ મંદિરથી પ્રેરિત છે. ગુરુગ્રામ સ્ટેશન IT થીમ ધરાવશે, જ્યારે ઓડિશામાં બાલેશ્વર સ્ટેશન ભગવાન જગન્નાથ મંદિરની થીમ પર ડિઝાઇન કરવામાં આવશે. તમિલનાડુના કુંભકોણમ સ્ટેશન પર ચોલ સ્થાપત્યનો પ્રભાવ મોટા પ્રમાણમાં જોવા મળશે.
અમૃત ભારત સ્ટેશન યોજનાની ઉત્પત્તિ
આ યોજનાની ઉત્પત્તિ 2021 માં થઈ, કે જ્યારે ગાંધીનગર આધુનિકીકરણ સાથે તૈયાર થનારૂં પ્રથમ રેલ્વે સ્ટેશન બન્યું, અને જ્યાં તમામ આધુનિક સુવિધાઓ અને ફાઇવ સ્ટાર હોટેલ પણ છે. ત્યારબાદ એ જ વર્ષે, રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, જે અગાઉ હબીબગંજ તરીકે ઓળખાતું હતું, તેણે એક નવા રંગરૂપ ધારણ કર્યા.
ભારતીય રેલ્વે ભારત સરકારના “સુગમ્ય ભારત મિશન” ના ભાગ રૂપે, દિવ્યાંગો અને ઓછી ગતિશીલતા ધરાવતા પ્રવાસીઓ માટે તેના રેલ્વે સ્ટેશનોને સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. માર્ગદર્શિકામાં દિવ્યાંગો અને ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે પ્રવેશ રેમ્પ, સુલભ પાર્કિંગ, ઓછી ઊંચાઈવાળા ટિકિટ કાઉન્ટર/સહાય બૂથ, શૌચાલય, પીવાના પાણીના બૂથ, રેમ્પ/લિફ્ટ સાથે સબવે/ફૂટ ઓવર બ્રિજ, બ્રેઇલ સાઇનેજ સહિત પ્રમાણભૂત સાઇનેજ અને દૃષ્ટિની ક્ષતિ માટે સ્પર્શ માર્ગો વગેરે જેવી સુવિધાઓની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
ભારતીય રેલ્વે સ્ટેશનોની સુલભતા અને દિવ્યાંગજનો અને ઓછી ગતિશીલતા ધરાવતા પ્રવાસીઓ માટે સ્ટેશનો પર સુવિધાઓ અંગેની માર્ગદર્શિકાના ભાગ રૂપે શ્રેણીઓનું વિહંગાવલોકન-

અમૃત ભારત સ્ટેશન યોજના ભારતના રેલ્વે માળખાને એક વિકસતા અને આધુનિક રાષ્ટ્રની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પરિવર્તન તરફ એક મોટું પગલું છે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓના આરામ, સ્થાનિક સંસ્કૃતિ, ટકાઉપણું અને વધુ સારી કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ યોજના રેલ્વે સ્ટેશન શું હોઈ શકે તે ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. હવે સ્ટેશનો ફક્ત ટ્રેન પકડવાની જગ્યાઓ નથી, પણ આ સ્ટેશનો સ્વચ્છ, સુલભ અને ગતિશીલ જગ્યાઓ બની રહ્યા છે જે તેમના શહેરોની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ યોજના સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર વિકાસ માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ભારતીય રેલ્વે ફક્ત લોકોને પ્રવાસ નથી કરાવતું ; તે એક દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહ્યું છે.
Source: PIB
![]()
