વલસાડ જિલ્લાના ઉમરગામ અને ભિલાડમાં આજથી 21 વર્ષ પહેલાં UP ના શિવપુજન તિવારીએ ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા હતાં. જે બાદ આરોપી નાસી ગયો હતો. અને સાધુનો વેશ ધારણ કરી શિવપુજન તિવારીમાંથી શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ બદલી વારાણસીમાં એક આશ્રમમાં રહેતો હતો. જે અંગેની બાતમી મળતા વલસાડ પોલીસે 21 વર્ષ બાદ આ આરોપીની UP થી ધરપકડ કરી વલસાડ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ભિલાડ પોલીસે આપેલી વિગતો મુજબ ભીલાડ પોલીસ મથકના PI આર. પી. ડોડીયા તેમની ટીમ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતા. દરમિયાન બાતમી આધારે ઉમરગામ (ભીલાડ) પોલીસ મથકમાં નોંધાયેલ 2004ના IPC કલમ 395, 342, 506(2), આર્મ્સ એક્ટ 25(1), GP એકટ 135 મુજબના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી આનંદ શિવપુજન તિવારી રહેવાસી ચોસઠી મઠ (ચોસઠી ઘાટ), પાડે ઘાટની બાજુમાં, કાશી, બનારસ, ઉત્તરપ્રદેશ નાશી ગયો હતો. તે, હાલમા પોતાનુ નામ બદલી શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવથી સાધુનો વેશ ધારણ કરી ચોસઠી મઠ આશ્રમમાં રહે છે.
આ બાતમી આધારે તાત્કાલીક એક ટીમ ઉત્તર પ્રદેશ વારાણસી ખાતે મોકલી પોલીસ કર્મચારીઓએ સાધુ તથા ફેરીયાઓનો વેશ ધારણ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આશ્રમમાંથી જ શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામનો સાધુ મળી આવ્યો હતો. જેને પકડી વિશેષ પુછપરછ કરતા પોતાનુ સાચુ નામ આનંદ શિવપુજન તિવારી હોવાનું તથા પોલીસથી બચવા નામ બદલી સાધુનો વેશ ધારણ કરી આશ્રમમાં રહેતો હોવાનું જણાવી ગુનાની કબુલાત કરી હતી. જે કબુલાત બાદ વલસાડ પોલીસે આ આરોપીની કાયદેસરની કાર્યવાહી કરવા તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરી વલસાડ જીલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સારૂ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)ની સુચના તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા સાહેબ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા આપેલ સુચના તથા DySP બી. એન. દવેના માર્ગદર્શનમાં I/C PI આર. પી. ડોડીયા તથા અ.હે.કો.ચિંતામણ, આ.પો.કો.નિતીનભાઈ ખેગારભાઇ, નિલેશભાઇ, અ.પો.કો. ભરતભાઈએ ટીમ વર્કથી કરી છે.