વાપી મહાનગરપાલિકાની ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાતની કાર્યવાહી કરી 1 દિવસમાં રૂ. 62 લાખની વસૂલાત કરી હતી. તા.26 માર્ચે વેરા વસૂલાત અભિયાનમાં વાપીમાં 46 અને ગામ વિસ્તારોમાં 13 મિલકતો મળી 59 મિલકતોને તાળાં મારવામાં આવ્યા હતા.
મૂળ વાપી વિસ્તારમાંથી રૂ. 33 લાખ અને ગામ વિસ્તારોમાંથી રૂ.29 લાખ મળી રૂ.62 લાખની વસૂલાત કરી હતી. જેમાં છીરી ગામમાં 13 મિલકતોને તાળાં મારવામાં આવ્યા હતા અને રૂ.19 લાખની વસૂલાત કરી હતી. છરવાડામાંથી રૂ.5 લાખ અને ચણોદમાંથી રૂ. 1.3 લાખની વસૂલાત થઈ હતી.
વાપીમાં લાંબા સમયથી વેરો ના ભરનાર બે મોટી હોટલ, એક સરકારી બેન્ક, બે ફાઇનાન્સીયલ બેન્ક, એક ક્લીનીક સામે પણ કાર્યવાહી શરૂ કરતાં સ્થળ પર વેરો ભરી દેવામાં આવ્યો હતો. ઘરવેરા વિભાગની ટીમે એક જ દિવસમાં અરિહંત પ્રેસ્ટીજ, ઐશ્વર્ય રેસીડેન્સી, ડ્રીમ હાઉસ, જગદીશ સોસાયટી, મંગલ કોમ્પ્લેક્ષ, સાંચી હાઇટ્સ વગેરેમાં મળી 46 કમર્શીયલ મિલકતોને તાળાં મારી વેરા વસૂલાતની કાર્યવાહી કરી હતી. વાપી મહાનગરપાલિકાએ 92% ની વસૂલાત કરી લીધી છે. આગામી 1 એપ્રિલથી બાકી વેરા ઉપર 12% દંડનીય વ્યાજ લાગનાર હોય મિલકતધારકોને પોતાનો બાકી વેરો જમા કરાવી દેવા જણાવવામાં આવ્યું છે.