પોતાને હિન્દુ રામભક્ત કહેવડાવવા વાળા અને રામ નવમીએ જોરશોરથી જય શ્રી રામ ના નારા લગાવનારાઓએ વાપીના જાહેરમાર્ગ પર ભગવાન શ્રી રામના પોસ્ટર લગાડી પોતાને રામભક્ત ગણાવવામાં કોઈ જ કસર છોડી નહોતી. ભગવાન શ્રી રામના પોસ્ટરમાં ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ના સ્લોગન પણ લખાવ્યા હતાં. શ્રીરામના ફોટા સાથેના આ પોસ્ટર/બેનર સાથે વળી પોતાની સંસ્થાઓના નામનો ઉલ્લેખ કરી વાપીની સમસ્ત જનતાને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી.
જો કે, આ પ્રકારના બેનર તો લગાડ્યા પછી જાણે તેમની રામભક્તિ અને હિન્દુત્વ ઓસરી ગયું હોય તેમ આ બેનરો કે ધજા પતાકા એમની એમ જ રઝળતી છોડી દીધી છે. હવે, આવા પોસ્ટર પર લોકો થૂંકી રહ્યા છે. ત્યારે, આ રામભક્તોએ Gandhi My Father ના પ્રોડયુસર પાસેથી શીખવા જેવું છે.
ગાંધીજી વિશે આપણે ત્યાં અનેક ફિલ્મો બની છે. જેમાં, બ્રિટિશ અભિનેતા બેન કિંગ્સલીની Gandhi, રજત કપૂરની Making of the Gandhi, જે. એસ. કશ્યપની ભારતમાં પ્રતિબંધિત Nine hours to Ram, દિલીપ પભાવલકરની Lage Raho Munnabhai અને નસીરુદ્દીન શાહની Hey Ram એ ઉપરાંત અક્ષય ખન્નાને ચમકાવતી Gandhi My Father
આ તમામ ફિલ્મોમાં Gandhi My Fatherના પ્રોડ્યુસરે તે ફિલ્મનાં પોસ્ટર્સ સાર્વજનિક રસ્તે દીવાલો પર ચાર-પાંચ ફીટ ઊંચા લેવલે ચોંટાવડાવ્યાં હતાં. કારણ કે, આપણે ત્યાંના civic sense વગરના રાહદારીઓ ગાંધીજીના ચિત્ર પર પેશાબ કરે તે Gandhi My Father ના પ્રોડ્યુસર અને જાણીતા એક્ટર અનિલ કપૂરને માન્ય ન હતું. અનિલ કપૂરના આ વિચારો કદાચ 100 ટકા સાચા છે. તે રામ નવમીના વાપી માં લગાવેલ ભગવાન શ્રી રામના આ બેનર પર જોવા મળતા થુંક ના ડાઘ પરથી સાબિત થઈ રહ્યું છે.
આશા રાખીએ કે આ બેનરો લગાવનારા, શોભાયાત્રા માં જોરજોરથી જય શ્રી રામના નારા લગાવનારા, લલાટે તિલક કરી કેસરી ઝંડા લઈ શોભાયાત્રાની શોભા વધારનાર રામ ભક્તો અને હિન્દુત્વનો ઝંડો ઉપાડનારા વિવિધ હિન્દુ સંગઠનો સંસ્થાઓના સભ્યો આવા રસ્તે રઝળતા કે લોકોના પાન-માવાની પિચકારીઓથી ગંદા થતા બેનરોને માન પૂર્વક ઉપાડી લેવા માટે પણ આગળ આવી ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા પ્રગટ કરે.