વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ પુરુષ અધ્યાપન મંદિર (PTC) કોલેજ ખાતે આગામી 13મી મેં થી 19મી દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સાપ્તાહિક કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી વાપીની જનતાને માહિતગાર કરવા આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં વિશેષ ઉપસ્થિત રહેલા આનંદા યોગાશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ અને યોગગુરુ સ્વામી ગણેશાનન્દજીએ જણાવ્યું હતું કે, તેમના ટ્રસ્ટ દ્વારા આ શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય વાપીમાં યોગગ્રામ નિર્માણ કરવાનો છે. આ શ્રીમદ્દ ભાગવત કથા 13મી મેં થી 19મી મેં સુધી ચાલશે. કથામાં જીગ્નેશ દાદા રાધેરાધે કથાનું રસપાન કરાવશે. વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો પણ કથા સાથે આયોજિત કરવામાં આવ્યાં છે. કથા માટે તેમજ યોગગ્રામ નિર્માણ માટે વાપીના અનેક દાતાઓનો સહકાર મળી રહ્યો હોવાનું જણાવી યોગગુરુએ આ કથામાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી.
તો, કથા અંગે આયોજકોએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સાપ્તાહિક કથા દરમ્યાન તારીખ 15, 16 અને 17 મેં ના યોગ કાર્યક્રમ, ભજન ડાયરો, સ્ત્રી સશક્તિકરણ ના કાર્યક્રમ પણ યોજાશે. ડાયરામાં ભજનિક સાગરદાન ગઢવી ભજનની રમઝટ બોલાવશે. મોટીવેશનલ સ્પીકર મનીષ વઘાશિયા પારિવારિક સમાજ અંગે પોતના મંતવ્ય રજૂ કરી માર્ગદર્શન આપશે. રઈશ મણિયારના કૃષ્ણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. 51 જરૂરિયાતમંદ મહિલાઓને તેમના પરિવાર માટે રાશન કીટ આપવામાં આવશે, સમૂહ લગ્નના આયોજનમાં 5 ગરીબ દિકરીઓના લગ્ન કરાવશે.
ઉલ્લેખનીય છે કે, કથા દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંપૂર્ણ ભોજનનો ખર્ચ કાળુભાઇ આહીર તથા ભરતભાઇ ભરવાડ તરફથી કરવામાં આવશે. કથા માટે નાજુ ભાઈ વાળા અને ચલા મહિલા મંડળની બહેનો મુખ્ય યજમાન છે. તેમજ યોગી રાજુભાઇ, અજીતસિંહ સોલંકી, રવિભાઈનો સહયોગ મળી રહ્યો છે. આયોજક સંસ્થા દ્વારા દેશભરમાં સ્વાસ્થ્યને પ્રથમ પ્રાધાન્ય આપી યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. દેશભરમાં વધી રહેલ સુગર અને ફેટી લીવરના દર્દીઓને યોગ થકી સ્વસ્થ તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાપીમાં નિર્માણ પામનાર યોગીગ્રામ માં યોગ તાલીમ ઉપરાંત ગૌશાળા, સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે.