વાપી મહાનગરપાલિકાની ટીમ દ્વારા બલિઠા અને મોરાઈમાં ધમધમતા ગેરકાયદેસરના ભંગારના ગોડાઉનને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા બલિઠા, મોરાઈ, છીરી, છરવાડા, ડુંગરા, કરવડ અને ચણોદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બનાવી ભંગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે, મનપાની આ કાર્યવાહી અંગે કમિશ્નર યોગેશ ચૌધરીએ મહત્વની વિગતો આપી હતી.
વાપી મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનને કારણે ઘણી બધી તકલીફો થાય છે. જે હેલ્થ માટે ખૂબ જ મોટો ખતરો છે. તેમજ આગના અનેક બનાવો અવારનવાર બની રહ્યા છે. જેમાં લોકોના જાનમાલની નુકસાની થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બે મહિનાથી ખાસ ડ્રાઈવ ચાલી રહી છે.
જેમાં જ્યાં પણ ભંગારના ગોડાઉન છે તેમાં જેની પાસે સેફટીના સાધનો, ફાયરની NOC, GPCBની પરવાનગી નથી તે તમામને નોટિસ આપી હતી. ગોડાઉન માલિકોને ગોડાઉન ખાલી કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. જે બાદ ફાઇનલ નોટિસ સુધીમાં કેટલાક ભંગારના ગોડાઉન માલિકોએ સ્વૈચ્છિક પણે પોતાની ભંગારની પ્રવૃત્તિ સમેટી લીધી હતી.
જો કે, બલિઠા અને મોરાઈ વિસ્તારમાં મોટાભાગના ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોએ ભંગારની પ્રવૃતિઓ બંધ નહિ કરતા મંગળવારે પોલીસની હાજરીમાં ભંગારના ગોડાઉનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બલિઠામાં 35 ગોડાઉન અને મોરાઈમાં 15 ગોડાઉન દૂર કરવામાં આવ્યા છે. હજુ થોડા ગોડાઉન બાકી છે જેની તપાસ ચાલી રહી છે અને પુરાવા રજૂ કરશે નહીં તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મનપા કમિશ્નરે અપીલ કરી હતી કે, ભંગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવામાં આવે. ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ ઝોનમાં જ ભંગારની પ્રવૃત્તિ કરે અને તે પણ પરવાનગી સાથે કરવામાં આવશે તો તેની સામે કોઈ વાંધો નથી. પરંતુ, હાલના તબક્કે 90 ટકા જેટલા ભંગારના ગોડાઉન માલિકો પાસે ફાયર, GPCB ની NOC નથી એટલે એવા તમામના ગોડાઉન પર જરૂર પડ્યે મનપા નેસ્તનાબુદ કરવાની કાર્યવાહી કરશે.