
Vihar Vaishnav: બુધવારે મૂડીઝ દ્વારા એક અહેવલા જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ યુએસ ટેરિફ વચ્ચે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા છતાં ભારત મજબૂત સ્થિતિમાં છે. આનું કારણ ભારતનું વિશાળ સ્થાનિક બજાર અને નિકાસ કરાયેલા માલ પર ઓછી નિર્ભરતા છે.
“ભારતની વિશાળ સ્થાનિક અર્થવ્યવસ્થા અને વૈશ્વિક માલના વેપારમાં મર્યાદિત સંપર્કને કારણે દેશ બાહ્ય આંચકાઓને સહન કરવા માટે વધુ મજબૂત સ્થિતિમાં છે,” અહેવાલમાં જણાવાયું છે.
ઓટોમોબાઇલ્સ જેવા કેટલાક ક્ષેત્રો તેમના વૈવિધ્યસભર કામગીરી હોવા છતાં વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે છે.
આ અહેવાલ મુજબ, ભારતનું મજબૂત સેવા ક્ષેત્ર અને વિશાળ સ્થાનિક અર્થતંત્ર એક મજબૂત બફર પૂરું પાડે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફુગાવામાં ઘટાડો થવાથી વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજ દરમાં ઘટાડા સાથે નરમ નાણાકીય નીતિનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે.
રિપોર્ટ મુજબ, બેંકિંગ ક્ષેત્રમાં ક્રેડિટ વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતી તરલતા પણ છે.
મૂડીઝના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવની અસર ભારત કરતાં પાકિસ્તાનના અર્થતંત્ર પર વધુ થવાની શક્યતા છે.
ભારતના મુખ્ય આર્થિક કેન્દ્રો સંઘર્ષ ક્ષેત્રોથી દૂર છે અને દ્વિપક્ષીય આર્થિક સંબંધો મર્યાદિત છે.
જોકે, અહેવાલમાં જણાવાયું છે કે, લાંબા સમય સુધી તણાવને કારણે સંરક્ષણ ખર્ચમાં વધારો થઈ શકે છે, જે રાજકોષીય એકત્રીકરણના પ્રયાસોને ધીમું કરી શકે છે અને સરકારી નાણાકીય બાબતોને અસર કરી શકે છે.
મૂડીઝ રેટિંગ્સે આ મહિનાની શરૂઆતમાં 2025 માટે ભારતના GDP વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો અને 2026 માં અર્થતંત્રમાં ગતિ પકડશે અને 6.5 ટકાનો વિકાસ દર નોંધાવશે તેવી અપેક્ષા રાખી હતી.
આ આગાહી IMFના અંદાજ સાથે સુસંગત છે, જે મુજબ ભારત 2025 માં 6 ટકાથી વધુનો વિકાસ દર નોંધાવનાર વિશ્વનું એકમાત્ર મુખ્ય અર્થતંત્ર હશે.
Source: IANS