ભારત સરકારના મૌસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ દ્વારા કમોસમી વરસાદની તા. 21 થી 27 મે 2025 સુધી આગાહી કરવામાં આવી છે. જે મુજબ માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.
વલસાડ નિવાસી અધિક કલેકટરએ પણ કમોસમી આગાહીને પગલે જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ જગ્યાએ વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અને આ અંગે તકેદારીના પગલા લેવા જણાવ્યું છે.
જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવાયુ છે કે, વલસાડ સહિતના આસપાસના જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય વીજળીના કડાકા સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.