વલસાડ, તા. 19 જૂન 2025: વલસાડ જિલ્લામાં ચાલુ મોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ઓવરટેપિંગના કારણે કુલ 62 રસ્તાઓ અવરજવર માટે બંધ થયા છે. જિલ્લામાં અત્યાર સુધી 344.67 મી.મી. વરસાદ નોંધાયો છે, જેના પરિણામે અનેક તાલુકાઓમાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના 59 અને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના 3 રસ્તાઓ બંધ છે. તાલુકાવાર વિગતો જોઈએ તો, ઉમરગામમાં 2, કપરાડામાં 17, ધરમપુરમાં 24, પારડીમાં 5, વાપીમાં 2 અને વલસાડ તાલુકામાં 12 રસ્તાઓ પર અવરજવર ઠપ થઈ છે.જિલ્લા વહીવટી તંત્રે પરિસ્થિતિ પર નજર રાખી છે અને વરસાદનું જોર ઘટતાં જ રસ્તાઓના રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રસ્તાઓ ઝડપથી ખુલ્લા કરવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી લોકોની અવરજવર સરળ બને.
આ ભારે વરસાદે જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જનજીવનને અસર કરી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બંધ રસ્તાઓનો ઉપયોગ ટાળવા અને સલામતીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.