વલસાડ, વાપી: વાપીના કરવડ વિસ્તારમાં આવેલ તળાવ કિનારેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ડુંગરા પોલીસ સ્ટેશને આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં મૃતકની ઓળખ સુરેશભાઈ પીતાંબર ઝા તરીકે થઈ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો પોતાનો પુત્ર આનંદ ઉર્ફે જીતુ સુરેશભાઈ પીતાંબર ઝા છે.
ગત 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ કરવડ, ભારત પેટ્રોલ પંપની પાછળ આવેલા તળાવ કિનારેથી એક પુરુષની લાશ મળી હતી. પોલીસને લાશ પર ઇજાના નિશાનો મળતાં હત્યાની શંકા ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે મૃતક સુરેશભાઈ પીતાંબર ઝાની લાશ તેમના પુત્ર આનંદ ઉર્ફે જીતુએ ફેંકી દીધી હતી. આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે તેના પિતાએ તેની પત્નીની છેડતી કરી હતી, જેનો બદલો લેવા તેણે પોતાના પિતાના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી તેમની હત્યા કરી હતી.
હત્યા બાદ, આરોપીએ લાશને તળાવમાં ફેંકી ગુનાને અંજામ આપ્યો હતો. ડુંગરા પોલીસે આરોપી આનંદ ઉર્ફે જીતુ, ઉંમર 28 વર્ષ, રહેવાસી સાંઈધામ રેસિડેન્સી, કરવડ, ડુંગરા, વાપીની ધરપકડ કરી છે. આ કેસમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ અને તેમની ટીમનો સમાવેશ થાય છે.
![]()

