ભારતની ડિજિટલ ઓળખ, આધાર કાર્ડ, હવે એક નવા અને રોમાંચક યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે! ટેકનોલોજી અને નિયમનકારી ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આગામી દાયકા માટે એક મહત્વાકાંક્ષી રૂપરેખા – Aadhaar Vision 2032’ Framework રજૂ કર્યું છે.
આ એક વ્યાપક રોડમેપ છે જે માત્ર આધારના પાયાને મજબૂત કરશે એટલું જ નહીં, પણ ભારતની ડિજિટલ ઓળખ પ્રણાલીને ફરીથી વ્યાખ્યાયિત કરીને તેને ભવિષ્ય માટે તૈયાર બનાવશે.
આધાર વિઝન 2032 નું મુખ્ય લક્ષ્ય આધારને સુરક્ષિત, સ્કેલેબલ (વધારી શકાય તેવું) અને સર્વસમાવેશક ડિજિટલ ઓળખ પ્રણાલી તરીકે સ્થાપિત કરવાનું છે. આ યોજના આગામી પેઢીના ડેટા સંરક્ષણ અને ગોપનીયતાના ધોરણો પર આધારિત હશે, જેથી દરેક નાગરિકની માહિતી અત્યંત સુરક્ષિત રહે.
UIDAI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એન્ક્રિપ્શન જેવી અદ્યતન ટેકનોલોજીનો લાભ લેશે. આનાથી આધાર સાયબર સુરક્ષાના ઉભરતા જોખમો સામે વધુ સ્થિતિસ્થાપક બનશે.
આ ફ્રેમવર્ક ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ અને વૈશ્વિક સાયબર સુરક્ષા ધોરણો સાથે સંપૂર્ણપણે સંરેખિત (aligned) હશે.
આ મહત્વના પરિવર્તનને દિશા આપવા માટે, UIDAI એ UIDAIના અધ્યક્ષ નીલકંઠ મિશ્રાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય વિશેષજ્ઞ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં શિક્ષણવિદો, ઉદ્યોગ જગતના નેતાઓ અને વહીવટી ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ કમિટી આધારના ઇનોવેશન રોડમેપને વ્યૂહાત્મક માર્ગદર્શન આપશે.
આધાર વિઝન 2032 એ માત્ર ટેકનોલોજીકલ ઉત્કૃષ્ટતા જાળવવાની વાત નથી, પરંતુ ભારતની ડિજિટલ ગવર્નન્સ યાત્રામાં આધારની ભૂમિકાને સુરક્ષિત, સર્વસમાવેશક અને લોકો-કેન્દ્રીત ઓળખ તરીકે મજબૂત કરવાની પ્રતિબદ્ધતા છે. આ પગલું આધાર કાર્ડને વિશ્વની સૌથી અદ્યતન ડિજિટલ ઓળખ પ્રણાલીઓમાંની એક બનાવશે.
![]()

