
હૈદરાબાદ: હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધને હૈદરાબાદ મેટ્રો રેલને વિશ્વભરમાં સૌથી મોટા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મેટ્રો રેલ પ્રોજેક્ટ્સમાંના એક તરીકે માન્યતા આપી છે.
હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં રેલ પ્રોજેક્ટ પર કેસ સ્ટડી પ્રકાશિત કરીને હૈદરાબાદ મેટ્રો રેલને વિશિષ્ટ માન્યતા આપી છે. આ અભ્યાસ તેને વિશ્વભરમાં સૌથી મોટી જાહેર-ખાનગી ભાગીદારી (PPP) એટલે કે પબ્લીક પ્રઈવેટ પાર્ટનરશીપ મેટ્રો રેલ પહેલોમાંની એક તરીકે પ્રકાશિત કરે છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં દર્શાવવામાં આવેલ કેસ સ્ટડી, મેટ્રોની નોંધપાત્ર સિદ્ધિઓને દર્શાવે છે.
અખબારી અહેવાલો મુજબ, હાર્વર્ડે પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ જર્નલમાં ‘હૈદરાબાદ મેટ્રો – કન્સેપ્ટથી અમલીકરણ સુધી: જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિશ્વનો સૌથી મોટો મેટ્રો રેલ પ્રોજેક્ટ’ નામનો કેસ સ્ટડી પ્રકાશિત કર્યો છે. આ કેસ સ્ટડી ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB)-હૈદરાબાદ દ્વારા કરવામાં આવ્યો, જેમાં મેટ્રોની સિદ્ધિઓ, તેણે અનેક પડકારો અને અવરોધોને કેવી રીતે દૂર કર્યા અને મેનેજિંગ ડિરેક્ટર એન.વી.એસ. રેડ્ડીનું નેતૃત્વ પ્રોજેક્ટને કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે તે પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક ગૌરવની ક્ષણ કહી શકાય, આ અભ્યાસ હૈદરાબાદ મેટ્રો રેલની ઉત્પત્તિ વિશે વાત કરે છે. તેમાં શહેરી પરિવહન પડકારોને પહોંચી વળવા માટે મેટ્રો રેલના મેનેજીીગ ડિરેક્ટર એન.વી.એસ. રેડ્ડીએ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રસ્તાવ કેવી રીતે મૂક્યો તે વિશે વાત કરવામાં આવી છે, સાથે જ વિશ્વના સૌથી મોટા પીપીપી મેટ્રો રેલ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે પીપીપી મોડેલ અપનાવવા વિશે પણ જણાવાયું છે. હાર્વર્ડના અભ્યાસમાં જણાવાયું છે કે જમીન સંપાદનના મુદ્દાઓ અને જાહેર વિરોધથી લઈને નાણાકીય અવરોધો સુધી, હૈદરાબાદ મેટ્રોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ તમામ પડકારોને પાર કરી તે વિશ્વ-સ્તરીય માળખાગત પ્રોજેક્ટ તરીકે ઉભરી આવ્યો છે.
સંશોધનના તારણો પર એક નજર…
હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં હૈદરાબાદમાં મેટ્રોની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમાં પીપીપી પદ્ધતિઓ દ્વારા તે કેવી રીતે મુખ્ય પરિવહન પ્રણાલી અને માળખાગત વિકાસનું એક મોડેલ બની ગયું છે, જેને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે તે અંગે વધુ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમાં સમજાવવામાં આવ્યું છે કે અસરકારક નેતૃત્વ, આયોજન અને વાતચીત થી હૈદરાબાદ મેટ્રોને તમામ પડકારોને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી હતી.
આ અભ્યાસનો હેતુ હૈદરાબાદ મેટ્રો રેલમાંથી મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવવાનો છે, જેમ કે ‘હૈદરાબાદ મેટ્રોએ આ કેવી રીતે પૂર્ણ કર્યું?’ અને ‘મોટા પાયે, બહુ-પરિમાણીય પ્રોજેક્ટ્સની જટિલતાઓને સંભાળવાથી શું પાઠ શીખી શકાય?’.
આ પહેલી વાર નથી જ્યારે કોઈ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત પ્રકાશને હૈદરાબાદ મેટ્રોની સફળતા વિશે વાત કરી હોય. અગાઉ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ મેટ્રો વિશે સંશોધન પત્રો પણ પ્રકાશિત કર્યા હતા.
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ