જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 27 ભારતીય નાગરિકોના મોત બાદ દેશભરમાં વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ગુજરાતમાં પણ ગુજરાત પોલીસે આ ઝુંબેશ હેઠળ 1000 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. એકલા વલસાડ જિલ્લામાંથી જ આવા 350 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને વિવિધ પોલીસ થાણામાં લાવી તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે દેશમાં ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકો ગુજરાતમાં ક્યાંયથી પણ પકડાય તો તેને ભુજ અને અમદાવાદ Joint Interrogation Center (JIC) માં લઇ જવા પડે છે. હાલમાં બન્ને સ્થળે ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, હાલમાં પકડાયેલાઓને ક્યાં લઈ જશે? એ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં હાલ વિદેશી નાગરિકોનું ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે બાદ આ વિદેશી નાગરિકોને ક્યાં રાખવા એ અંગે સરકારનો આખરી નિર્ણય મેળવવામાં આવશે. જે માટે હાલ કદાચ હંગામી ધોરણે શેલ્ટર હોમ બનાવી તેમાં આવા ઘૂસણખોરોને રાખવામાં આવશે. અને જે તે દેશ સાથે જરૂરી વાટાઘાટો કરી તેઓને ડિપોર્ટ કરવામાં આવશે.
ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસણખોરી કરતાં સમયે પકડાતા વિદેશી નાગરિકો કે, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતાં ઝડપાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં વિદેશી નાગરિકોને પકડીને Joint Interrogation Center (JIC) માં મોકલવામાં આવે છે. જ્યાં સુધી તેમના પરનો કેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી JICમાં રાખવામાં આવે છે. જે જેલ નહીં પરંતું એક પ્રકારે ડીટેન્શન સેન્ટર છે. અહીં લવાયેલા વિદેશી નાગરિકોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે.
ભુજમાં આવેલા જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર પરનું ભારણ હળવું કરવા અમદાવાદમાં રાજ્યનું બીજું JIC બનાવવામાં આવ્યું છે. જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં વિદેશી નાગરિકોને અટકાયતમાં રખાતા હોય છે. હાલ સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને ભુજ એમ બે સ્થળે જ જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર આવેલા છે. જેમાં કુલ ક્ષમતા સામે બમણાં વિદેશી નાગરિકો અટકાયતમાં છે. આપને જણાવી દઈએ કે દેશમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને જમ્મુ કાશ્મિર એમ ત્રણ રાજ્યોમાં માત્ર 4 જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર આવેલાં છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ભુજ JICમાં ચાર પાકિસ્તાની નાગરિકોના બીમારીના કારણે મૃત્યુ થયા હતા. ગત અઢી વર્ષમાં ગુજરાતમાં 74 પાકિસ્તાની નાગરિકો, 14 અફઘાની નાગરિકો અને 6 ઈરાની નાગરિકો ઝડપાયા છે. જ્યારે અમદાવાદ શહેર SOG દ્વારા વર્ષ 2007થી 2022 સુધીમાં 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડીને ડિપોર્ટ કરાયા છે. ત્યારે, હાલમાં હાથ ધરેલ ઝુંબેશ પોલીસ માટે પડકારરૂપ રહેશે. આ પ્રકારના આરોપીઓને પરત ન મોકલી દેવાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતેથી કરવામાં આવતી હોય છે.