
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ:
એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આગામી 15મી મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
તિરુમાલા: દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરૂપતિ મંદિર તરફથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ 15 મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉનાળામાં નિયમિત યાત્રાળુઓ માટે સરળ પ્રવેશ સુવિધાને સુનિશ્ચિત કરવાના હેતુથી VIP ભલામણ પત્રોને એક મહિના માટે કામચલાઉ ધોરણે સ્થગિત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશના એન્ડોવમેન્ટ એટલે કે દાન-ધર્મ ખાતાના મંત્રી અનમ રામનારાયણ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં ખાસ દર્શન બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેના સાંસદો, ધારાસભ્યો અને MLC ના ભલામણ પત્રો ધરાવતા લોકો માટે ફરી એકવાર આ સેવા ઉપલબ્ધ થશે. તિરુમાલા ખાતે ભીડમાં ઘટાડો થવાના પ્રતિભાવમાં TTD દ્વારા આ પત્રો ફરીથી સ્વિકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દર વર્ષે ઉનાળામાં પરિવારો રજાઓનો લાભ લેતા હોવાથી, તિરુમાલામાં યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. આ વ્યસ્ત સમયગાળાની અપેક્ષાએ, TTD એ તમામ યાત્રાળુઓ માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી છે. આ પ્રયાસોના ભાગ રૂપે, 1 મેથી સવારના દર્શનની પ્રક્રિયાના સમયને સમાયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય ભક્તો માટે વધુ સમય આપવા માટે પ્રોટોકોલ સવારે 7.30 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનો હતો. પ્રારંભિક પગલાંમાં 15 જુલાઈ સુધી ભલામણ પત્રો રદ કરવાનો સમાવેશ થતો હતો, ઉનાળાની ભીડ ઓછી થયા પછી જ તેમને ફરી શરૂ કરવાની યોજના હતી.
જોકે, રાજકીય પ્રતિનિધિઓના પ્રતિભાવ અને યાત્રાળુઓની સંખ્યામાં હાલના ઘટાડાને ધ્યાનમાં લેતા, ટીટીડીએ અગાઉના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. મંત્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે 15 મેથી ફરી એકવાર ભલામણ પત્રો સ્વીકારવામાં આવશે.
મહત્વનું છે કે દર વર્ષે ગુજરાતમાંથી તિરૂપતિમાં ભગવાન બાલાજીના દર્શને હજારો યાત્રાળુઓ જતા હોય છે અને આ સંખ્યા ઉનાળાની રજાઓમાં નોંધપાત્ર રીતે વધી જતી હોય છે.