Saturday, June 21News That You Want to Read

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી, માહિતી બ્યુરો, વલસાડ

ડેન્ગ્યુ એટલે ગંભીર વાયરલ રોગ. જે એડીસ ઈજિપ્ત મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુનો તાવ એ ગંભીર પ્રકારનો તાવ છે. જેમાં રક્તસ્ત્રાવ થાય છે. કોઈક વાર મગજને આઘાત પહોંચતા માણસનું મૃત્યુ પણ થાય છે. જેથી દર વર્ષે તા. 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગથી જાગૃત કરવાનો છે. કારણ કે આજે પણ લોકોમાં ડેન્ગ્યુ જેવા ગંભીર તાવ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. ડેન્ગ્યુને અટકાવવા માટે જરૂરી પગલાંને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી થતા ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં ડેન્ગ્યુના 275 કેસ નોંધાયા છે જેની સામે ગત વર્ષ દરમિયાન માત્ર એક વ્યકિતએ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે જીવ ગુમાવ્યો હતો.

વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના નેતૃત્વમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાની નાબૂદી માટે વર્ષ દરમિયાન અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.

જેના પરિણામ સ્વરૂપે ડેન્ગ્યુના કેસો ઘટી રહ્યા છે. આ અંગે માહિતી આપતા જિલ્લા મલેરિયા અધિકારી ડો. વિરેન પટેલ જણાવે છે કે, જે એરિયામાં ડેન્ગ્યુના કેસ વધુ મળે તેવા હાઈરિસ્ક એરિયામાં સઘન સર્વેલન્સ કામગીરી કરી,

પાણીના પાત્રોની સફાઈ, મચ્છર ઉત્પત્તિના સ્થાન શોધવા, ટેમિફોર્સ દ્વાવણ પાણીમાં નાંખવુ, ફોગીંગ અને જનજાગૃતિ માટે પેમ્પલેટ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ડેન્ગ્યુના કેસ કયારેક વધે પણ અને ઘટે પણ. જેનુ કારણ તપાસીએ તો, વરસાદની બદલાતી જતી પેર્ટન અને ઈન્ડ્રસ્ટ્રીયલ માઈગ્રેશન પણ કેટલાક અંશે જવાબદાર છે.

ઘણી વાર ભેજવાળા વાતાવરણને કારણે પણ મચ્છરોની ઉત્પત્તિ વધી જાય છે. એડીસ મચ્છર કરડવાના 5 થી 6 દિવસ બાદ આ તાવ લોકોમાં જોવા મળે છે.

ડેન્ગ્યુની બિમારી લીવરને અસર કરવાનું શરૂ કરે છે, જેમાં હેપેટાઇટિસ જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુના ગંભીર કિસ્સાઓમાં, લીવરના કોષો ફૂલી જાય છે અને તેમની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. કેટલાક લોકોમાં કિડનીને તીવ્ર ઈજા થવાનું જોખમ પણ રહે છે.

જો ડેન્ગ્યુની સમયસર સારવાર ન કરવામાં આવે તો ફેફસામાં પ્રવાહીનો સંચય થવાનું જોખમ રહેલું છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ડેન્ગ્યુથી મગજનો તાવ અને ફેફસામાં પ્રવાહીના સંચયને કારણે ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી શકે છે. ધીમા ધબકારાનું જોખમ પણ વધારી શકે છે. જેથી જીવલેણ ગણાતા ડેન્ગ્યુના રોગને નિયંત્રિત કરવા માટે લોકોને જાગૃત કરવા પડશે તો જ આ દિવસની ઉજવણીની સાર્થકતા કહેવાશે.

ડેન્ગ્યુ રોગના લક્ષણો…… 

ઠંડી લાગીને તાવ આવે

ઉલટી ઉબકા આવવા, નબળાઈ આવવી

બેચેની લાગે, પ્રેશર ઘટવા લાગે

શ્વાસ લેવામાં તકલીફ પડવી

માથુ, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો થાય

આંખના ડોળાની પાછળ અને આંખના હલનચલનથી દુખાવો થાય

શરીરે લાલ ડાઘાઓ થવા, નાક અને પેઢામાંથી લોહી નીકળવુ

ત્વચા પર વાદળી – કાળા રંગની ફોલ્લીઓ જોવા મળે (લાલ ચકામા)

ડેન્ગ્યુ રોગ કેવી રીતે ફેલાય….

ડેન્ગ્યુના મચ્છરો છાંયાવાળા કે સુર્યના તડકાવાળા સ્થળો પાણી સંઘરવાના પાત્રો કે પાણી ભરાઈ રહેવાના સાધનોમાં ઉછરે છે. એ.સી., કુલર, પીપળા, માટલાં, બકેટ, ફુલદાનીઓ, છોડની ક્યારીઓ કે તલાવડીઓ, શીશીઓ, પતરાંના ડબ્બા કે વાસણો, હોડ, કુંડા, તળાવ પાણી શોષતા ખાડાઓ, સીમેન્ટ બ્લોક્સ, વાંસની દાંડીઓ અને ઝાડના પોલાણો વગેરે સ્થળે મચ્છરો પેદા થતા ડેન્ગ્યુ રોગ ફેલાય છે.

ડેન્ગ્યુના રોગમાં લેવાની સામાન્ય કાળજીઓ….

કોઈપણ તાવ ડેન્ગ્યુ હોય શકે છે. તાવ આવે કે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રો, રજિસ્ટર થયેલા દવાખાના અને હોસ્પિટલની મુલાકાત લઈ તાત્કાલિક લોહીની તપાસ કરાવવી જોઈએ. તાવને કોઈપણ સંજોગોમાં અવગણશો નહી. સમયસરના પગલા જીવન બક્ષે છે. લોહીની તપાસમાં ડેન્ગ્યુ જણાય તો પુરેપુરી સારવાર કરાવો. ખૂબ પ્રવાહી લેવુ. શરીરમાં પાણી ઓછુ થવા દેવુ જોઈએ નહી. તાવના ચોક્કસ નિદાન માટે નિષ્ણાત ડોકટરોની સલાહ લેવી જરૂરી છે.

માણસ અને મચ્છર વચ્ચેના સંપર્કને અટકાવવા આટલું કરો……

1. મચ્છરદાનીનો ઉપયોગ કરો

2. આખી બાયંના કપડા પહેરવા

3. મચ્છરને દુર કરવા અગરબત્તી, મોસ્કીટો રેપલેંટ, મોસ્કીટો સ્પ્રે અને ક્રિમ લગાવવી

4. સાંજના સમયે ઘરના બારી બારણાં બંધ રાખવા

5. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો

6. તાવના દરેક કેસની જાણ આરોગ્ય કર્મચારીને આપો તથા હોસ્પિટલમાં તપાસ કરાવો

7. પાણી ભરેલા વાસણો દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી ઘસીને સાફ કરી સૂકવી અને હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરો

8. સંડાસના ગેસ પાઈપ પાતળી જાળીથી ઉપરની તરફ બંધ કરો

9. ઘરની આજુબાજુ કોઈપણ પાણીનો સ્ત્રોત ન રાખો, ખાડા ખાબોચિયા પુરી દો.

10. જુના ટાયરો, ભંગાર અને કચરાનો નિકાલ કરવો

11. ઘરની અંદર કુંડા, પક્ષી કુંજ, ફુલદાની, ફ્રીઝની પાછળની ટ્રે, પાણી સંગ્રહ થાય એવી ચીજોનો નિકાલ કરવો

12. ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી, પાણીનો ભરાવો ના થવા દો, યાદ રાખો કે એક ગ્લાસ જેટલા પાણીમાં પણ મચ્છર થઈ શકે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *