
Vihar Vaishnav, હૈદરાબાદ: મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી (MANUU) એ ગુરુવારે યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથેના તેના શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) ને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી.
ભારત-પાકિસ્તાન તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને તુર્કીયે દ્વારા સમર્થન આપવાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીએ 2 જાન્યુઆરી, 2024 ના રોજ યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથે પાંચ વર્ષ માટે એક એમઓયુ કર્યા હતા, જે અંતર્ગત ભાષા, ભાષાશાસ્ત્ર અને ઇન્ડોલોજી સ્કૂલમાં ટર્કિશ ભાષામાં ડિપ્લોમા શરૂ કરવામાં આવ્યો હતો.
આ માટે એક વિઝિટિંગ પ્રોફેસરની સેવાઓ લેવામાં આવી હતી. MANUUના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તુર્કીયેથી આવેલા વિઝિટિંગ પ્રોફેસર પહેલાથી જ પોતાના દેશ પરત ફર્યા છે.
આ નિર્ણય સાથે, MANUU તુર્કીયેની શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગમાંથી ખસી જતી ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી યાદીમાં જોડાઈ ગયું છે.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ધ્યાને લઈ તુર્કીયેના માલત્યામાં આવેલી ઇનોનુ યુનિવર્સિટી સાથેના તેના સહયોગને ઔપચારિક રીતે બંધ કરવાની જાહેરાત કરનારી પ્રથમ યુનિવર્સિટી હતી. આ પછી, જામિયા મિલિયા ઇસ્લામિયાએ પણ તુર્કીયે સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે તેની ભાગીદારી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.