Saturday, June 21News That You Want to Read

વર્ષ 2004માં ઉમરગામના નારગોલમાં સાગરિતો સાથે મળી હત્યા કર્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને LCB ની ટીમે 21 વર્ષે સુરતથી ઝડપ્યો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. 21 વર્ષથી ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી લક્ષ્મીશંકર રામસુરત યાદવ (ઉંમર 68)ને સુરતના પરીયા, સાયણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે અને હાલ સુરતની ચંદન શો મિલ, દેલાડ પાટીયા ખાતે રહેતો હતો. જેણે વર્ષ 2004માં નારગોલ ગામે પોતાના સાગરીતો સાથે મળી પ્યારેલાલ લાલતા યાદવની હત્યા કરી હતી.

આ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)ની સૂચનાઓ હેઠળ હાથ ધરવામાં આવી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શનમાં ટીમે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. 2004માં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (FIR નં. 201/2004, IPC કલમ 302, 323, 114)માં લક્ષ્મીશંકર અને તેના સાગરિતોએ નારગોલ ખાતે પ્યારેલાલ લાલતા યાદવ નામના વ્યક્તિની હત્યા કરી હતી.

આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. LCBના ASI વિજય માધવરાવ અને પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઈ ચૌહાણને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી સુરતમાં છુપાયેલો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક મહિનાની તપાસ બાદ આરોપીને ઝડપી લેવાયો. LCBએ છેલ્લા 10 દિવસથી પરીયા, સાયણ વિસ્તારમાં નજર રાખી હતી અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપીની ઓળખ કરી. ટીમે મજૂરોના વેશમાં કંપનીઓમાં તપાસ કરી અને આરોપીની હયાતીના પુરાવા મેળવ્યા.

અંતે, કાયદેસર કાર્યવાહી કરી આરોપીને ઉમરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો. પૂછપરછમાં ખુલાસો થયો કે, 21 વર્ષ પહેલાં નારગોલ ખાતે આરોપી અને તેના સાગરિતોએ પ્યારેલાલ લાલતા યાદવ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન મારપીટમાં પ્યારેલાલને ગંભીર ઇજા થઈ, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ લક્ષ્મીશંકર ફરાર હતો.

આ સફળ કામગીરીમાં LCBના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જે. પરમાર, ASI વિજય માધવરાવ પાટીલ, પોલીસ કોન્સ્ટેબલ ઉર્વીશ ગોહિલ, સંજયસિંહ ચાવડા, વાલજી ચૌહાણ, પીયુષ ઠાકોર, સંજય ચૌહાણ, રાજુભાઈ સોલંકી, ભાવિક પટેલ, હારીશ ખાન, રાહુલ ગુલાબભાઈ અને કરમણ જયરામભાઈનો સમાવેશ થાય છે.

આ ટીમે ઉત્કૃષ્ટ ટીમવર્ક દર્શાવી આ ગુનાને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વલસાડ LCBની આ કામગીરી ગંભીર ગુનાઓના આરોપીઓ સામે કડક કાર્યવાહીનું ઉદાહરણ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *