
Vihar Vaishnav : હૈદરાબાદમાં રવિવારે વહેલી સવારે ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને લગભગ ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં બે બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ પર્લ્સની બિલ્ડિંગ સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે અગિયાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કૉમર્શિયલ વિસ્તારમાં ભીડભાડવાળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ+1 ઇમારતમાં ફસાયેલા કેટલાક લોકોને ફાયરફાઈટરોએ બચાવી લીધા હતા. પરિસરમાં ફેલાયેલા ગાઢ ધુમાડાને કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા. મોતીના વેપારી અને તેના કર્મચારીઓના પરિવારના લગભગ 30 લોકો ત્યાં હતા.
મોતીના વેપારીની દુકાન, મોદી પર્લ્સ, ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જ્યારે તેમનો પરિવાર અને કેટલાક કામદારોના પરિવારો પહેલા માળે રહેતા હતા. આગને કાબુમાં લેવા માટે 11 ફાયર એન્જિન કામે લાગ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મૃતકોની ઓળખ રાજેન્દ્ર કુમાર (67), સુમિત્રા (65), મુન્ની બાઈ (72), અભિષેક મોદી (30), આરુષી જૈન (17), શીતલ જૈન (37), અરશદી (7) અને ઈરાજ (2) તરીકે થઈ છે.

ઘાયલોને ઑસ્માનિયા, યશોદા મલકપેટ, એપોલો ડીઆરડીઓ અને એપોલો હૈદરગુડા હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર અધિકારીઓના જણાવ્યાનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઇમારત સુધી યોગ્ય પ્રવેશ ન હોવાથી ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આગ બુઝાવવા માટે બાજુની ઇમારતો પર ચઢવું પડ્યું હતું. ધુમાડાથી ભરેલી ઇમારતમાં પ્રવેશવામાં ફાયર ફાઈટરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આગ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) મુજબ, મુખ્યમંત્રી રેવંચ રેડ્ડી પોલીસ અને ફાયર સર્વિસ વિભાગના અધિકારીઓના સંપર્કમાં છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી, ચારમીનારના ધારાસભ્ય મીર ઝુલ્ફીકાર અલીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે.