ગુજરાત સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2025 અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની માંજરી અને સીમખાડી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા પ્રભારી સચિવ અને નગરપાલિકા વહીવટી કમિશનર IAS રેમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાયો હતો.
નવી શિક્ષણ નીતિ અનુસાર, આંગણવાડી, બાલવાટિકા અને પ્રથમ ધોરણમાં કુલ 23 બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. જેમાં આંગણવાડીમાં 4 કુમાર અને 5 કન્યા, બાલવાટિકામાં 5 કુમાર અને 8 કન્યા તેમજ પ્રથમ ધોરણમાં 1 કુમાર અને 2 કન્યાનો સમાવેશ થયો.
પ્રભારી સચિવ રેમ્યા મોહને જણાવ્યું કે, આ શુભ પ્રસંગે બાળકોને સુંદર વાતાવરણમાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ શિક્ષણની પ્રગતિ થઈ રહી છે અને શિક્ષકોએ બાળકોના આંતરિક કૌશલ્યોને ઉજાગર કરવા સતત પ્રયાસો કરવા જોઈએ. તેમણે પ્રવેશ મેળવનાર બાળકો, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા.
આ ઉપરાંત, કાર્યક્રમમાં શાળાના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને એકમ કસોટી, વાર્ષિક કસોટી અને જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા. પ્રભારી સચિવે શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી, સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા અને બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોજભાઈ ટંડેલ, સરપંચ રમીલાબેન ધુળે, બીઆરસી સંજયભાઈ મકવાણા, શાળાના આચાર્યો, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.