ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ધરમપુર, ખાસ કરીને વિલ્સન હિલ માટે જાણીતું છે. ચોમાસામાં અહીંનું ધુમ્મસભર્યું વાતાવરણ, લીલીછમ ટેકરીઓ અને વાદળોનો સમન્વય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. વરસાદની ઝરમર અને ઠંડી હવા આ સ્થળને આહલાદક બનાવે છે. પ્રવાસીઓ અહીંના શાંત વાતાવરણ, સનરાઇઝ-સનસેટ પોઈન્ટ અને ટ્રેકિંગની મજા માણે છે. જોકે, વધતી ભીડ અને ધાર્મિક પ્રભાવે આ સ્થળની મૂળ ઓળખને જોખમમાં મૂકી છે.
વિલ્સન હિલનું ઐતિહાસિક મહત્વ પણ અનન્ય છે. 1923માં મુંબઈના ગવર્નર લોર્ડ વિલ્સનની મુલાકાત બાદ આ સ્થળનું નામકરણ થયું. અહીંનો ઐતિહાસિક સ્તંભ ધરમપુરના રાજવી પરિવાર અને બ્રિટીશ શાસનની યાદ અપાવે છે. પ્રાચીન મંદિરો શ્રદ્ધાળુઓને આકર્ષે છે, પરંતુ ધાર્મિક સંસ્થાઓનો વધતો પગપેસારો ચિંતાજનક છે. ધાર્મિક બાંધકામો કુદરતી સૌંદર્યને ખલેલ પહોંચાડે છે, જ્યારે યાત્રાળુઓની ભીડથી ટ્રાફિક, પાર્કિંગ અને કચરાની સમસ્યા વધે છે. પ્લાસ્ટિક અને પૂજા સામગ્રીનો કચરો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિલ સ્ટેશનની શાંતિ અને ઇકોસિસ્ટમને જોખમમાં મૂકે છે.
ધરમપુરના રાજાઓના અંગ્રેજો સાથે સારા સંબંધો હોવા છતાં વલસાડથી ધરમપુર સુધી રેલવે ટ્રેક ન નંખાવ્યો, જે કદાચ આર્થિક અથવા વ્યૂહાત્મક કારણોસર હોઈ શકે. આજે વિલ્સન હિલની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ વધતી ભીડ અને વાણિજ્યીકરણથી તેની મૂળ ઓળખ બચાવવી જરૂરી છે. સ્થાનિક વહીવટ, પર્યાવરણવિદો અને પ્રવાસીઓએ સાથે મળીને યોગ્ય નિયમન અને સંતુલન જાળવવું જોઈએ, જેથી આ કુદરતી અને ઐતિહાસિક વારસો ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રહે.
ઉલ્લેખનીય છે કે, બરોડાના સયાજીરાવે 1913 માં અંગ્રેજો સાથે હાથ મિલાવી બીલીમોરા-વઘઈ રેલવે ટ્રેક નંખાવી, ગાયકવાડની શાન બતાવી. પણ ધરમપુરના સિસોદિયા રાજા, અંગ્રેજોના દોસ્ત હોવા છતાં, વલસાડથી ધરમપુર સુધી રેલવે ન નંખાવી! કદાચ રાજાને ઘોડાગાડીની મજા વધુ ફાવી? કે પછી ખજાનો ખાલી, ને રેલવેનું સપનું ફક્ત સપનું જ રહ્યું? વિલ્સન હિલની ઠંડી હવાની મોજ કરવામાં રેલવે ભૂલાઈ ગઈ?
![]()










