વાપી: વાપી સ્થિત શ્રેયસ મેડિકેર સંચાલિત એમ.એન. મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલમાં સ્વ. શ્રી ઈન્દ્રવદનભાઈ શાહ (ઈન્દુકાકા)ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
5th એડિશન NABH માન્યતા પ્રાપ્ત આ હોસ્પિટલ દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા આ કેમ્પનો પ્રારંભ 04 ઓગસ્ટ, 2025ના રોજ થયો હતો. આ શિબિર 14 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે (રવિવાર સિવાય).
આ શિબિરનો શુભારંભ ઈન્દુકાકાના પુત્ર હરિનભાઈ, બહેન શ્રીમતી ધર્મિષ્ઠા ત્રિવેદી, શ્રી જનસેવા મંડળના ટ્રસ્ટી હેમંત દેસાઈ, શ્રેયસ મેડિકેરના મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈ, ટ્રસ્ટીગણ વિનય દેસાઈ અને દીપક અગરવાલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના તમામ કન્સલ્ટન્ટ ડોકટરો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, હાડકાની તપાસ, બાળરોગ, સ્ત્રીરોગ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ અને હૃદયરોગ (કાર્ડિયોલોજીસ્ટ) વિભાગની ઓપીડી તદ્દન નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત, લેબ ટેસ્ટ, એક્સ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી, 2ડી ઈકો, એન્જીયોગ્રાફી અને TMT જેવી તપાસ પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
આ શિબિરનો સમય સવારે 10:00 થી 01:00 અને સાંજે 05:00 થી 07:30 કલાકનો રહેશે. શ્રેયસ મેડિકેરના પ્રમુખ નિમેશ વશી અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈએ વાપી અને આજુબાજુના વિસ્તારની જનતાને આ સેવાનો શક્ય તેટલો વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે. આ નિઃશુલ્ક શિબિર જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્યની સુવિધાનો ઉત્તમ અવસર પૂરો પાડી રહી છે.
![]()













